THE INDIAN SOCIOLOGIST

મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામે જૈન સંતો અને મહાસતીજીઓ નો ગાજતે વાજતે ચાતુર્માસ મંગલ પ્રવેશ થયો.

કચ્છ આઠકોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના કચ્છ કેસરી આચાર્યશ્રી પૂનમચંદ્રજી સ્વામીના શિષ્યો કાર્યવાહક શ્રી તારાચંદમુનિ મહારાજ સાહેબ તથા તેમના શિષ્ય પરમ પૂજ્ય પ્રશાંતમુની મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય સમર્પણ મુનિ મહારાજ સાહેબ તેમજ પરમ પૂજ્ય કસ્તુરબાઈ મહાસતી અને પરમ પૂજ્ય પૂર્વીશાબાઈ મહાસતીનું તાજેતરમાં મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામે વાજતે - ગાજતે ચાતુર્માસ પ્રવેશ થયો હતો.

ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે ભવ્યાતિભવ્ય સામૈયામાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.આ પ્રસંગે જીવદયાપ્રેમી પરમ પૂજ્ય જીતેન્દ્રમુનિ મહારાજ સાહેબ તથા યતિવર્ય શ્રી મોતીસાગરજી મહારાજ સાહેબ ખાસ ઉપસ્થિત રહીને ભાવિકોને આશીર્વચન પાઠવેલ હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું. પ્રારંભમાં આઠકોટી મોટીપક્ષ જૈન સંપ્રદાયના કાર્યવાહક પરમ પૂજ્ય તારાચંદમુની મહારાજ સાહેબે માંગલિક ફરમાવીને, ભાવિકો સમક્ષ મનનીય પ્રવચન શ્રવણ કરાવેલ હતું. પરમ પૂજ્ય પ્રશાંતમુનિ મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય પૂર્વીશાબાઈ મહાસતીએ ચાતુર્માસનું મહત્વ સમજાવી, ચાતુર્માસ દરમિયાન યથાશક્તિ આરાધના કરી, જીનવાણી નું શ્રવણ કરવા અનુરોધ કરેલ હતો.

પ્રારંભમાં સંઘ પ્રમુખ શ્રી ભરતભાઈ દેઢિયાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી, કાર્યવાહક તારાચંદમુનિ મહારાજ સાહેબ આદિ સાધુ ભગવંતો અને મહાસતીજી ઓ ના ચાતુર્માસ નો ભુજપુર ને લાભ મળ્યો તે બદલ ખુશી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ચરિત્ર વહોરાવવાનો લાભ સંઘ પ્રમુખ ભરતભાઈ દેઢીયાએ જ્યારે સૂત્ર વહોરાવવાનો લાભ જ્યોતિબેન જીતુભાઈ એ લીધેલ હતો. ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે જીતુભાઈ દેઢીયા અને રવિલાલ નાનજી માલદે (ભુજપુર - અમેરિકા) એ મૂંગા પશુઓ માટે એક ટ્રક લીલાચારાનું નીરણ કરવાની જાહેરાત કરી જીવદયા નું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડેલું હતું. રમણભાઈ દેઢિયા એ કાર્યક્રમનું સંચાલન કરેલ હતું જ્યારે મનોજભાઈ હેણિયાએ આભાર દર્શન કરેલ હતું. કિશોરભાઈ દેઢીયા, કિરીટભાઈ સોની, મનોજભાઈ હેણિયા વગેરે એ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST