રાજકોટના પ્રભારી મંત્રી અને રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા આજે છઠ્ઠના દિવસે સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના ધરોહર લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ તકે રાઘવજી પટેલએ જણાવ્યું હતું કે, નીતિ-નિયમોનું પાલન કરવું જોઈએ. રાઇડ્સ સંચાલકો નિયમ મુજબ ચાલશે તો મંજૂરી આપવામાં આવશે. વહીવટી તંત્ર સાથે મળી ચર્ચા કરી યાંત્રિક રાઇડ્સ શરૂ કરવા માટે રાજકોટ વહીવટી તંત્રને સૂચન રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, લોકમેળો એ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોનો મેળો છે. સૌરાષ્ટ્રભરના લોકો રાજકોટ લોકમેળામાં આવતા હોય છે. યાંત્રિક રાઇડ્સ વગર લોકમેળો ફીકો લાગી રહ્યો છે. યાંત્રિક રાઇડ્સ હોવી જોઈએ પણ કોર્ટ જે કહે તે ચુકાદાનું પાલન કરવું જોઈએ. જયારે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળાએ યાંત્રિક રાઇડ્સ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, નિયમોનું પાલન કરવું જોઈએ. નિયમો કડક હોય તો તેમાં બદલાવ કરી શકાય ફેરફાર પણ કરી શકાય. બીજા લોકો નિયમ તોડે તો આપણે પણ નિયમ તોડવા એવું જરૂરી નથી.
65 CCTV કેમેરાથી નજર રખાશે
મેળામાં આવતા લોકોને ખાસ અપીલ પણ કરી હતી કે મેળામાં આવનાર કોઈ પણ વ્યક્તિ વધુ પડતી રોકડ, સોના-ચાંદીના દાગીના, મોંઘા મોબાઈલ સહિતની વસ્તુ સાથે લઈ જવાનું ટાળે કેમ કે મેળામાં ભીડનો લાભ લઈ તસ્કરો ચોરીને અંજામ આપતાં હોય છે. જો કે આવા તસ્કરોને ડામવા માટે તેમજ યુવતીઓની છેડતી રોકવા માટે પોલીસ દ્વારા સિવિલ ડ્રેસમાં અલગ-અલગ ટીમ તૈનાત કરવામાં આવશે. મેળામાં કુલ 11 વોચ ટાવર, 65 જેટલા સીસીટીવી કેમેરા મારફત પણ પોલીએ દ્વારા ખાસ નજર રાખવામાં આવશે.
ધંધા-રોજગાર માટે 235 સ્ટોલની ફાળવણી
રાજકોટના ધરોહર લોકમેળામાં ધંધો-રોજગાર કરવા માટે 235 સ્ટોલ અને પ્લોટની ફાળવણી લોકમેળા સમિતિ દ્વારા કરવામાં આવી છે. જેમાં રમકડાના 140 સ્ટોલ, ખાણીપીણીના 32 સ્ટોલ, મેન્યુઅલ રાઇડ 15, મોટી રાઇડસ (મીકેનીકલ) 31 સમાવેશ થાય છે. આ ઉપરાંત આઈસ્ક્રીમના 16 પ્લોટ અને એક ટી કોર્નર પ્લોટ હરાજીથી ફાળવવામાં આવ્યો છે.
1266 પોલીસ સ્ટાફ સિવાય ખાનગી સિક્યોરીટી ગાર્ડ પણ હશે
આ વર્ષનો ધરોહર મેળો વધુ સુરક્ષિત અને સગવડભર્યો બને તે માટે વહીવટીતંત્ર ઝીણવટપૂર્વકની જહેમત ઉઠાવી રહયું છે. લોકમેળામાં વીમાની રકમ ગયા વર્ષે 5 કરોડની હતી, જે આ વર્ષે વધારીને 10 કરોડની કરાઇ છે. કુદરતી આફતોમાં પણ વિમા કવચ મળશે. કાયદો વ્યવસ્થાની જાળવણી માટે 3 ડી.સી.પી., 10 ACP, 28 PI, 81 PSI, 1067 પોલીસ કોન્સ્ટેબલ, 77 SRP સહિત કુલ 1266 જેટલા પોલીસ સ્ટાફ તૈનાત કરાશે. આ ઉપરાંત ખાનગી સિક્યોરીટી ગાર્ડ પણ ફરજ બજાવશે.