THE INDIAN SOCIOLOGIST

જન્મદિવસે PM મોદી વતનમાં:ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર મોદી ગુજરાત આવશે


મોટેરાથી ગાંધીનગર 20.8 કિમીના મેટ્રો રૂટને લીલી ઝંડી આપી શકે છે

ગત 4 જૂને લોકસભા ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ નરેન્દ્ર મોદીએ 9 જૂન, 2024ના રોજ ત્રીજીવાર વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. ત્રીજીવાર વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદી પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 16 અને 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવશે. આમ તેઓ પોતાના જન્મ દિવસે વતનમાં હશે. આ દરમિયાન તેઓ મેટ્રો પ્રોજેક્ટના બીજા તબક્કાનું લોકાર્પણ કરે એવી શક્યતા છે.

ગ્રીન એનર્જી સમિટની અધ્યક્ષતા કરશે
તેની સાથે સાથે ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે ગ્રીન એનર્જી સમિટની અધ્યક્ષતા પણ કરવાના છે. ત્યાર બાદ મેટ્રો રેલના બીજા તબક્કાનું પણ લોકાર્પણ કરવાની શક્યતાઓ છે. તેઓ મોટેરાથી ગાંધીનગર સેક્ટર-1 તથા ગીફ્ટ સિટી સુધીના મેટ્રો રૂટને લીલી ઝંડી આપી શકે છે. આમ કુલ 20.8 કિમીના મેટ્રો રૂટમાં કુલ 10 સ્ટેશન પર મેટ્રો દોડશે. જ્યારે PM મોદી તેમના જન્મ દિવસે સેવા સેતુ કાર્યક્રમની જાહેરાત કરશે.

મોટેરા-ગાંધીનગર સુધી 22 સ્ટેશન
આપને જણાવી દઈએ કે, મોટેરા-ગાંધીનગર સુધીના રૂટ ઉપર 22 સ્ટેશન બનાવવામાં આવ્યાં છે. જેમાં જરૂરી તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. 22 સ્ટેશનની વાત કરીએ તો કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જૂના કોબા, કોબા ગામ, જીએનએલયુ, પીડીપીયુ, ગિફ્ટસિટી, રાયસણ, રાંદેસણ, ધોળાકુવા સર્કલ, ઇન્ફોસિટી, સેક્ટર-1, સેક્ટર-10/એ, સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24, મહાત્મા મંદિર ખાતે મેટ્રો સ્ટેશનની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

બંને રૂટ પરનાં 15 સ્ટેશનનું કામ પૂરું થયું
હાલમાં મોટેરાથી સેક્ટર-1 સુધીના 16 કિલોમીટર રૂટ પર 13 સ્ટેશન તેમજ જેએનએલયુથી ગિફ્ટ સિટી વચ્ચેના 2 સ્ટેશન મળી કુલ 15 સ્ટેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે સેક્ટર-1થી મહાત્મા મંદિર સુધીના રૂટ પર પણ પુરઝડપે કામગીરી ચાલી રહી છે અને વર્ષના અંત સુધીમાં આ કામ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક છે.
Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST