રાજ્યભરમાં “શાળા સલામતી સપ્તાહ-૨૦૨૫”નો આજથી પ્રારંભ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરક સંદેશથી વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને મળ્યું યોગ્ય માર્ગદર્શન
SCHOOL SAFETY WEEK-2025 શાળા સલામતી સપ્તાહ અંતર્ગત આગામી તા. ૨૫ જાન્યુઆરી સુધી રાજ્યભરની શાળાઓમાં યોજાશે વિવિધ પ્રવૃત્તિઓ
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) અને શિક્ષણ વિભાગના સયુંકત ઉપક્રમે આજથી રાજ્યભરમાં “શાળા સલામતી સપ્તાહ-૨૦૨૫”નું આયોજન કરવામાં આવ્યું છે. આજે બાઇસેગની વંદે ગુજરાત ચેનલ-૧ પરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરક સંદેશ સાથે શાળા સલામતી સપ્તાહ-૨૦૨૫નો શુભારંભ કરાયો હતો.
મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને વીડિયો સંદેશના માધ્યમથી પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપનની સમજ કેળવાય તે બાબત ઉપર વિશેષ ભાર મૂક્યો હતો.
SCHOOL SAFETY WEEK-2025મુખ્યમંત્રીશ્રીએ સપ્તાહ દરમિયાન મોકડ્રીલ, નિદર્શન, તાલીમ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન શાળા કક્ષાએ કરવા જણાવ્યું હતું. સાથે જ તેમણે સમગ્ર સપ્તાહની સફળતાપૂર્વક ઉજવણી કરવા તમામ શાળાઓ અને GSDMAને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
આ શુભારંભ પ્રસંગે GSDMAના મુખ્ય કારોબારી અધિકારી શ્રી અનુપમ આનંદ દ્વારા શાળા સલામતી સપ્તાહ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં પાંચ દિવસ એટલે કે, આગામી તા. ૨૫ જાન્યુઆરી સુધી યોજાનાર સપ્તાહ દરમિયાન શાળા સલામતી અંગેની દૈનિક પ્રવૃતિઓની રૂપરેખા સમજાવવામાં આવી હતી.
શાળા સાલામતી સપ્તાહ-૨૦૨૫મા રાજ્યની તમામ ૩૩,૦૦૦ સરકારી પ્રાથમિક શાળાઓને આવરી લેવામાં આવશે. જેમાં લગભગ ૩૦૦૦ જેટલી શાળાઓમાં મેગા ઇવેન્ટ જેવી કે, ભૂકંપ, આગ અકસ્માત, પૂર, શોર્ટ સર્કિટ જેવા વિષયો ઉપર NDRF/SDRF/ફાયર બ્રિગેડનાં સહયોગથી મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે. ઇન્ડિયન રેડક્રોસ, ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સના સહયોગથી આરોગ્ય વિષયક તાલીમ અને નિદર્શન કરવામાં આવશે.
SCHOOL SAFETY WEEK-2025આ ઉપરાંત બાકીની તમામ શાળાઓમાં શાળા કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપન વિષયક ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. શાળા કક્ષાએ જનજાગૃતિનાં ભાગરૂપે રેલી, વિડીઓ નિદર્શન, પોસ્ટર પ્રદર્શનીનું આયોજન કરવામાં આવશે. તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં આજથી આગામી તા.૨૫/૦૧/૨૦૨૫ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન શાળાઓ દ્વારા કરવામાં આવશે.
આ કાર્યક્રમના પ્રારંભે અધિક મુખ્ય કારોબારી અધિકારી શ્રી જે. રણજીથકુમાર દ્વારા શાબ્દિક સ્વાગત વિધિ કરવામાં આવી હતી.