વિથોણ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને લોકોમાં જાગૃતિ અને ઉત્સાહ
નખત્રાણા તાલુકાના વિથોણ ગામે હાલમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીને લઈને લોકોમાં જાગૃતિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
સાંસ્કૃતિક અને સમાજલક્ષી દૃષ્ટિએ જાણીતા વિથોણ ગામમાં પાટીદાર સમાજની બહોળી વસતી છે. લોકોમાં શિક્ષણ, સમાજસેવા અને સંસ્કારને મહત્ત્વ મળતું રહ્યું છે. હાલમાં સરપંચપદની ચૂંટણીમાં ત્રિપક્ષીય સ્પર્ધા ઉભી થઈ છે અને એ પણ ત્રણ મહિલાઓ વચ્ચે જંગ જામ્યો છે. આ વખતે સરપંચ પદ અનુસૂચિત જાતિના મહિલા ઉમેદવાર માટે અનામત હોવાથી પહેલા કરતા એક નવા સમીકરણના અવસર ઊભા થયા છે. મગીબેન ખેંગારભાઈ ચાવડા, લક્ષ્મીબેન વિઠ્ઠલભાઈ મહેશ્વરી અને વાલબાઈ દાનાભાઈ લોચાએ સરપંચ પદની ચૂંટણીમાં ઝુકાવ્યું છે.
આ ત્રણેય મહિલાઓએ જુસ્સા અને નિષ્ઠાપૂર્વક ગામમાં ઘર-ઘર જઈને મતદારો સાથે સીધો સંપર્ક કર્યો છે, મહિલાઓ, યુવાનો, વડીલોના પ્રશ્નો સાંભળ્યા છે અને પોતાના વિચાર રજૂ કર્યા છે. મહિલાઓના નેતૃત્વને લઈ ખાસ કરીને મહિલાવર્ગમાં ઉત્ત્સાહનું નવસર્જન થયું છે. ગામમાં ત્રણે ઉમેદવારો ના કાર્યાલયો ધમ ધમી ઉઠ્યા છે. મતદારો ને પોતાની તરફેણમાં મતદાન કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગામમાં કુલ 10 વોર્ડ છે. તેમાં કેટલીક જગ્યાએ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જ્યારે કેટલીક જગ્યાએ જોરદાર ટક્કર જોવા મળી રહી છે. વોર્ડ નંબર 6આદીવાસી અનામત છે અને આ વોર્ડ માટે કોઈ ઉમેદવાર ઉપલબ્ધ ન હોવાથી વોર્ડ ખાલી રહેશે.
વિથોણના મતદારો હવે માત્ર પરંપરાગત સમીકરણો નહીં, પણ વિકાસને જ મહત્વ આપી રહ્યા છે. તેમનાં પ્રશ્નો પણ સ્પષ્ટ છે પીવાના પાણીની સમસ્યા, ગટરની વ્યવસ્થા, માર્ગોની બિસમાર હાલત, આવાસ યોજનાઓનો અમલ, આરોગ્ય અને શિક્ષણની કામગીરી જેવા મુદ્દા પર ઉમેદવારોએ જનતાને વચન આપ્યાં છે અને મતદારો પણ વિચારપૂર્વક નિર્ણય લેવા માટે તૈયાર છે.
વોર્ડ નં. 1માં મિનાબેન દિલીપભાઈ નાયાણી, વોર્ડ નં. 2 નેહાબેન કેતનભાઈ સુથાર, વોર્ડ નં. 3 રીનાબેન મુકેશકુમાર દરજી, વોર્ડ નં. 4માં વેલાભાઈ દેવાભાઈ રબારી, વોર્ડ નં. 8માં રતિલાલભાઈ પ્રેમજીભાઈ ખેતાણી બિન હરીફ જાહેર થયા છે.
www.indiansociologist.in