મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આરોગ્યને લઈને મહત્વનો નિર્ણય
થરાદ તાલુકાના નારોલી ખાતે સર્વે નંબર ૩૩ની ૬૮૦ ચો.મી જમીન સરકારી આયુર્વેદ હોસ્પિટલ માટે ફાળવાઈ સરકારી આયુર્વેદ હોસ્પિટલ બનવાથી લોકોને ઘર આંગણે આરોગ્યની સેવાઓ પ્રદાન થશે
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરહદી જિલ્લા બનાસકાંઠાના થરાદ તાલુકાના નારોલી ખાતે વિકાસના કાર્યોને પ્રાધાન્ય આપતા જમીન ફાળવણી કરી છે. થરાદ તાલુકાના નારોલી ખાતે સર્વે નંબર ૩૩ની જમીન પૈકીની ૬૮૦ ચો.મી જમીન સરકારી આયુર્વેદ હોસ્પિટલ માટે ફાળવવામાં આવી છે.
નારોલી ખાતે સરકારી આયુર્વેદ હોસ્પિટલ માટે જમીન ફાળવાતા સ્થાનિકો મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. અહીં વિવિધ સુવિધાઓ સાથે આયુર્વેદ હોસ્પિટલ બનશે જેમાં મેડિકલ ઓફિસર સહિતના સ્ટાફની પણ નિમણૂક કરાશે. આ આયુર્વેદ હોસ્પિટલ ખાતે ચામડી,પેટ, પાચન, ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, તાવ, શરદી- ખાંસીને લગતી વિવિધ બીમારીઓની દવાઓ ઘર આંગણે ઉપલબ્ધ થશે. સાથે સાથે આજુબાજુના રણકા, નવાપુરા, કરબુણ, રતનપુરા અને રામપુરા જેવા ગામના લોકોને પણ અહીંથી મેડિકલ ચેક અપ અને દવાઓ ઉપલબ્ધ થઈ શકશે. નારોલી ૩૫૦૦ થી વધુ વસ્તી ધરાવતું ગામ છે.
થરાદ પંથકમાં આરોગ્યની સેવાઓ વધુ સુદ્રઢ બને તે માટે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ તાજેતરમાં જ ૨૧ પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુર્હુત કર્યું હતું જ્યારે ૪ નવીન એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરાયું હતું. અધ્યક્ષશ્રી શંકરભાઈના નેતૃત્વમાં થરાદ ખાતે આધુનિક તબીબી સુવિધાઓથી સજ્જ એવી જિલ્લા કક્ષાની હોસ્પિટલનું નિર્માણકાર્ય પ્રગતિ હેઠળ છે જ્યારે નારોલી ખાતે આયુર્વેદ હોસ્પિટલ બનશે જેથી આ વિસ્તારમાં આરોગ્યની સુવિધાઓમાં વધારો થશે.
રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અનેક નિર્ણાયક વિકાસકાર્યો અમલમાં આવ્યા છે. રાજ્ય સરકારે "સર્વે સુખિનઃ સંતુ"ના ધ્યેયને ધ્યાનમાં રાખીને સામાન્ય નાગરિક સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડી છે, જેમાં નવીન આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો, નવીન એમ્બ્યુલન્સ, સ્ટાફ કવાર્ટર, કર્મચારીઓની ભરતી, આયુર્વેદ હોસ્પિટલ, આયુષ્યમાન યોજના જેવી જનહિતની યોજનાઓ દ્વારા નાગરિકોને મફત અને સુલભ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શહેરથી લઇ ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોની સુવિધાઓને વધુ મજબૂત બનાવી પાયાની આરોગ્ય સેવાઓનું જાળું વિસ્તરાયું છે. આ ક્ષેત્રે થયેલા વિકાસના પગલે રાજ્યના સામાન્ય નાગરિકના જીવનમાં નોંધપાત્ર સુધારો થયો છે.
www.indiansociologist.in