માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટી સાચા અર્થમાં માનવ સેવાનું કાર્ય કરે છે.
પરમ પૂજ્ય ઉપાધ્યાય પૂર્ણભદ્રસાગરજી મહારાજ સાહેબ
માંડવીની જન કલ્યાણ મેડિકલ સોસાયટીના પરિસરમાં નિર્માણ પામનારા ભોજનાલય, ડોક્ટર ક્વાર્ટર અને પેરામેડિકલ સ્ટાફ ક્વાર્ટર બિલ્ડીંગ નું ભૂમિ પૂજન પૂર્ણભદ્રસાગરજી મહારાજ સાહેબની નિશ્રામાં સંપન્ન થયું
સંસ્થામાં નિર્માણ પામી રહેલા મેડિકલી વૈયાવચ્ય કેન્દ્ર માટે આ કાર્યક્રમમાં મહારાજ સાહેબની પ્રેરણાથી પાંચ લાખનું માતબાર દાન જાહેર થયું.
માંડવી માં છેલ્લા 32 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર માંડવી ના પરિસરમાં નિર્માણ પામનારા ભોજનાલય, ડોક્ટર ક્વાર્ટર અને પેરામેડિકલ સ્ટાફ ક્વાર્ટર બિલ્ડીંગનું ભૂમિ પૂજન અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી ગુણસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય મહાભદ્રસાગરજી મહારાજ સાહેબના પ્રતાપી શિષ્ય પ્રવચન પ્રભાવક પૂજ્ય ઉપાધ્યાય ભગવંત શ્રી પૂર્ણભદ્રસાગરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં વિધિ વિધાનપૂર્વક તા. 23/11 ને શનિવારના વિજય મુહૂર્તે રંગે ચંગે સંપન્ન થયું હતું.
સંસ્થાના પ્રમુખ શ્રી કિરણકુમાર વાડીલાલ સંઘવીના પ્રમુખ પદે યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં ભોજનાલય ના મુખ્ય દાતા શ્રીમતી રાધિકાબેન ઠાકરશી મેઘજી શેઠિયા (ભુજપુર હાલે સાન્તાક્રુઝ મુંબઈ) પરિવારના કરકમળો દ્વારા ભૂમિ પૂજન થયું હતું પૂજન વિધિમાં રાયણ ગામના વિપુલભાઈ શાંતિલાલ રાંભિયા અને શિલ્પાબેન વિપુલભાઈ રાંભિયા બેઠા હતા. જ્યારે વિધિ વિધાનપૂર્વક પૂજનવિધિ નિલેશભાઈ ઓઝા અને કિશનભાઈ ઓઝા એ કરાવી હોવાનું સંસ્થાના ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં સંસ્થાના પરિસરમાં નિર્માણ પામી રહેલા સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો માટેના મેડિકલી વૈયાવચ્ય કેન્દ્ર માટે ઉપાધ્યાય પૂર્ણભદ્રસાગરજી મહારાજ સાહેબની પ્રેરણાથી પાનબાઈ ધારશી છેડા (હસ્તે:- બીદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા) તરફથી રૂપિયા 2,51,000/-(બે લાખ એકાવન હજાર રૂપિયા) અને બટરફ્લાય એલ. એક્ષ. (હસ્તે:- માતુશ્રી લક્ષ્મીબેન માવજી દેઠીયા પરિવાર ભુજપુર - તાલુકો મુન્દ્રા) તરફથી રૂપિયા 2,51,000/- (બે લાખ એકાવન હજાર રૂપિયા) મળી કુલ 5,02,000/- (પાંચ લાખ બે હજાર રૂપિયા) નું માતબાર દાન થયું હોવાનું સંસ્થા ના ખજાનચી નિશાંતભાઈ શાહે જણાવ્યું હતું.
આ પ્રસંગે પરમ પૂજ્ય ઉપાધ્યાય પૂર્ણભદ્રસાગરજી મહારાજ સાહેબે માંગલિક શ્રવણ કરાવીને જણાવ્યું હતું કે, માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવી અને તેમની સમગ્ર ટીમ સાચા અર્થમાં માનવસેવાનું કાર્ય કરી રહ્યા છે પૂજ્યશ્રીએ ભોજનાલય અને અન્ય ક્વાર્ટરનું કામ નિર્વિઘ્ને સંપન્ન થશે તેવા આશીર્વાદ પાઠવ્યા હોવાનું સંસ્થાના મંત્રીશ્રી અરવિંદભાઈ શાહે જણાવ્યું હતું.
આ પ્રસંગે પૂર્ણભદ્રસાગરજી મહારાજ સાહેબ અને બાલમૂની ને ઠાકરશીભાઈ દેઢીયા (ભુજપુર) એ કામળી વહોરાવી હતી. રાધિકાબેન દેઢીયા (ભુજપુર) નું સન્માન ડો. દીજ્ઞાબેન પટેલે, બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેનનું અરવિંદભાઈ શાહના હસ્તે, ઠાકરશીભાઈ દેઢીયા (ભુજપુર) નું સન્માન કિરણભાઈ સંઘવીના હસ્તે, અમૃતભાઈ (લુડવા) નું સન્માન નિશાંતભાઈ શાહના હસ્તે, પ્રવીણભાઈ પોકાર (મુંબઈ)નું સન્માન દિનેશભાઈ શાહના હસ્તે, હિંમતભાઈ પોકારનું સન્માન શ્રી વી. કે.સોલંકીના હસ્તે, વિપુલભાઈ રાંભિયા નું સન્માન નરોત્તમભાઈ ધોળું ના હસ્તે અને બિદડા પાંજરાપોળના પ્રતિનિધિ શશીકાંતભાઈ નું સન્માન રાજુભાઈ ચૌધરીના હસ્તે શાલ ઓઢાડીને કરાયું હતું.
સંસ્થાના પ્રમુખ શ્રી કિરણભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, જન કલ્યાણ મેડિકલ સોસાયટી 32 વર્ષથી વિવિધ સેવાકીય કાર્ય કરી રહી છે. દવામાં 50% રાહત ભાવે આપવામાં આવે છે. ડાયાલિસિસ નિ:શુલ્ક રીતે કરી આપવામાં આવે છે. છેલ્લા 12 વર્ષથી સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોની આરોગ્ય સેવા પણ નિઃશુલ્ક કરવામાં આવે છે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સહમંત્રી શ્રી મહેશભાઈ કંસારા એ કરેલ હતું જ્યારે મંત્રી અરવિંદભાઈ શાહે આભાર દર્શન કરેલ હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવી, બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા, હિરજીભાઈ કારણી, જયેશભાઈ જી. શાહ, ધર્મેશભાઈ જોશી, વિપુલભાઈ રાંભિયા, જયાબેન રામાણી (લુડવા), લક્ષ્મીબેન પોપટ (પુના), લક્ષ્મીબેન પોકાર (મુંબઈ) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સુપેરે પાર પાડવા સંસ્થાના સમગ્ર ટ્રસ્ટી મંડળે જહેમત ઉઠાવી હોવાનું સંસ્થાના ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
INDIAN SOCIOLOGIST