NARMADA : એસ્પિરેશનલ નર્મદા જિલ્લાની એક દિવસીય મુલાકાતે પધારેલા પંચાયત અને કૃષિ વિભાગના રાજ્ય મંત્રીશ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ
અધિકારીઓ અને પદાધિકારીઓ એકબીજાના સંકલનમાં રહીને “મારું કામ, મારો પરિવારની ભાવના”થી કામ કરી જિલ્લાને વિકાસના માર્ગે આગળ ધપાવવા અનુરોધ કરતા મંત્રીશ્રી બચુભાઈ ખાબડ
જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, નાંદોદના ધારાસભ્યશ્રી સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી અને નિયમસર ઉકેલવા ઉપર ભાર મૂક્યો
NARMADA : એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં રાજ્યસરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની થઈ રહેલી કામગીરીની સમીક્ષા અર્થે આજે ગુજરાત સરકારના પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી બચુભાઈ ખાબડ એકદિવસીય મુલાકાતે પધાર્યા હતા. મંત્રીશ્રીએ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે પદાધિકારીઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીમસિંગભાઈ તડવી અને નાંદોદના ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખે ઉપસ્થિત રહી પોતાના મતવિસ્તારના નાગરિકોના પ્રશ્નોની રજૂઆત કરીને આ બેઠકમાં રૂબરૂ પરામર્શ અને નિરાકરણ માટે ચર્ચા કરી હતી.
NARMADA : આ બેઠકમાં મંત્રીશ્રી બચુભાઈ ખાબડે વિવિધ કામોની સમીક્ષા બાદ જિલ્લાના ગામોને જોડતા રોડ-રસ્તાઓનું કામ ક્વોલિટીવાળું-ટકાઉ અને સમય મર્યાદામાં બને, જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો-ઓરડાઓની સ્થિતિ અને બાળકોને પ્રાથમિક શાળામાં પાયાનું ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે જેથી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં આગળ વધે, આરોગ્ય વિષયક સુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને સિકલ સેલની બિમારીથી બહાર લાવવા લોકોમાં દવા સાથે જાગૃતિની કામગીરી, ખેતીવાડી અને પશુપાલન વિભાગને સાથે જોડી બંને વિભાગોની યોજનાઓને સમાંતર રાખી આદિવાસી ખેડૂતો ખાસ કરીને મહિલા પશુપાલકોની આર્થિક સમૃદ્ધિ કેળવાય, આઈસીડીએસ વિભાગની યોજનાકીય કામગીરી થકી જિલ્લામાંથી કૂપોષણને દૂર કરવા માટે વિશેષ પગલાં લઈ સરકારશ્રીની વિવિધ વિકાસલક્ષી યોજનાઓને ગ્રાઉન્ડ લેવલ પર ઉતારી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સિદ્ધ કરવા માટે કાર્ય કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં આદિવાસી જિલ્લાઓના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ લાગુ કરવામાં આવી છે. આકાંક્ષી નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રવાસન સ્થળના કારણે વિશ્વભરના લોકો અહીં આવતા થયા છે. ત્યારે અધિકારીઓ અને પદાધિકારીઓ એકમંચ પર આવીને એકમેકના સંકલનમાં રહી દરેક કાર્યને મારું કામ, મારો પરિવારની ભાવનાથી કામ કરી નર્મદા જિલ્લાને વિકાસના પથ પર ગતિમાન રાખવા આહવાન કર્યું હતું.
NARMADA : આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રણજીતસિંહ કટારિયા અને શ્રીમતી પિનાકિનીબેન ભગોરા, જિલ્લા પંચાયતના વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.