ગુજરાતનું 3.70 લાખ કરોડનું બજેટ:5 લાખ નવી રોજગારી ઉભી કરવાની જાહેરાત જાણો વિગતો
નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇનુ ઉદ્બોધન (ભાગ-1)
વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાના પ્રણેતા અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નદ્રષ્ટા એવા ગુજરાતના પનોતાપુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીને ત્રીજી વાર ભારતનું સુકાન સંભાળવા બદલ માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતની સમગ્ર જનતા વતી હું અભિનંદન પાઠવું છું.
વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યને સાકાર કરવા માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકાર વિકસિત ગુજરાત ૨૦૪૭ની પરિકલ્પનાને સિદ્ધ કરવા કટિબદ્ધ છે.
ગુજરાતને સુશાસન સૂચકાંકમાં દેશભરમાં મળેલ “પ્રથમ ક્રમ” - નાણાકીય શિસ્ત અને માળખાગત વિકાસની અમારી સરકારની પ્રતિબદ્ધતા બતાવે છે. નીતિ આયોગના વર્ષ ૨૦૨૫ના રાજકોષીય શિસ્ત સૂચકાંકમાં રાજ્યને "Achievers" દરજ્જો મળેલ છે.
ગુજરાતની રાજકોષીય ખાદ્ય અને જાહેર દેવું રાષ્ટ્રીય સ્તરે ન્યૂનતમ પૈકી રાખવા સાથે ગુજરાતે સતત ઊંચો આર્થિક વિકાસ દર જાળવી રાખેલ છે. દેશમાં ગુજરાત માથાદીઠ આવકમાં અને રોજગારી આપવામાં
અગ્રેસર છે.
ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. જમીનના માત્ર ૬% અને કુલ વસ્તીના માત્ર ૫% હિસ્સો ધરાવતું ગુજરાત દેશના કુલ જી.ડી.પી.માં ૮.૩%નું યોગદાન આપે છે. અમારા સતત પ્રયાસો થકી આ યોગદાન વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦% થી ઉપર પહોંચાડવા કટિબદ્ધ છીએ.
ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮% યોગદાન આપે છે. દેશની કુલ નિકાસના ૪૧% જેટલી નિકાસ ગુજરાતના બંદરોથી થાય છે. ગુજરાતે લોજીસ્ટીક્સ ઇઝ એક્રોસ ડીફરન્ટ સ્ટેટ્સ (LEADS) સૂચકાંકમાં "Achievers" દરજ્જો મેળવેલ છે.
બે દાયકાથી યોજાતા વાઇબ્રન્ટ ગુજરાતના સફળ આયોજનના પરિણામે રોકાણ અને રોજગારની વિપુલ તકો ઉપલબ્ધ બની છે. ગુજરાત આજે ગ્રીન એનર્જી અને પ્રવાસન ક્ષેત્રમાં મહત્વની કામગીરી કરી રહેલ છે. આ ઉપરાંત સેમિકન્ડક્ટર, એરોસ્પેસ અને બાયોટેકનોલોજી જેવી ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રોમાં પણ મોખરે છે.
ગુજરાતની નીતિઓ 'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ' વિઝનને મજબૂત બનાવે છે. આપણું રાજ્ય સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં વિશ્વસ્તરીય ઉત્પાદનનું કેન્દ્ર બનવા જઇ રહ્યું છે. ધોલેરા અને સાણંદ ખાતે સેમિકન્ડક્ટર ઇકો સિસ્ટમની સ્થાપના થઈ રહી છે. ભારતના વડાપ્રધાનશ્રી અને સ્પેનના વડાપ્રધાનશ્રીની હાજરીમાં વડોદરા ખાતે લશ્કરી વિમાનો માટે ઉત્પાદનની સુવિધા શરૂ કરવામાં આવેલ છે. જે સંરક્ષણ ક્ષેત્રે દેશની આત્મનિર્ભરતાને મજબૂત બનાવશે.
વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા માનનીય વડાપ્રધાનશ્રી પ્રેરીત GYAN - ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેથી આ સંકલ્પને સિદ્ધ કરવામાં ગુજરાત મહત્વનું યોગદાન આપી શકે.
નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇનુ ઉદ્બોધન (ભાગ-2)
ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ, અન્નસુરક્ષા, પોષણ વગેરેને અગ્રિમતા આપે છે. આ બજેટમાં “ઘરનું ઘર” સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે ૩ લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની ₹૧ લાખ ૨૦ હજારની સહાયમાં મકાનદીઠ ₹૫૦ હજારના માતબર વધારા સાથે ₹૧ લાખ ૭૦ હજાર કરવાની જાહેરાત કરું છું.
“પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત રાજ્યના અંદાજે ૭૫ લાખ કુટુંબોને અનાજ વિનામૂલ્યે પૂરું પાડવાનું ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે. વધુમાં ગરીબ લોકોની અન્નસુરક્ષા માટે રાહતદરે તેલ, કઠોળ, ખાંડ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવે છે.
પોષણલક્ષી યોજનાઓના અસરકારક આયોજન અને અમલીકરણ અમારી સરકારનો મુખ્ય ઉદ્દેશ રહેશે. પોષણ અને તંદુરસ્તી માટે અલગ અલગ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે. પોષણને અગ્રિમતા આપતાં આ યોજનાઓ માટે ગત વર્ષ કરતાં આશરે ૨૧% ના વધારા સાથેની અંદાજીત ₹૮૨૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું.
માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સંવેદના સભર “પઢાઇ ભી, પોષણ ભી”ના ધ્યેયને સાકાર કરવા “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”ની ડિસેમ્બર-૨૦૨૪થી શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં ૩૨,૨૭૭ શાળાઓના ૪૧ લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે. જેના માટે આ બજેટમાં કુલ ₹૬૧૭ કરોડની જોગવાઇ સૂચવું છું.
પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓને પૌષ્ટિક, આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ભોજન આપવા ૭૨ તાલુકાઓમાં સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી “સેન્ટ્રલાઇઝડ કીચન” વ્યવસ્થા ઊભી કરવા ₹૫૫૧ કરોડની જોગવાઇ સૂચવું છું.
બાળકોના પોષણ અને વિકાસને સુદ્રઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. તેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે ₹૨૭૪ કરોડની જોગવાઇ સૂચવું છું.
આ વર્ષે આપણે આદિવાસી સમાજના ભગવાન શ્રી બિરસા મુંડાજીની જન્મ જયંતિના ૧૫૦મા વર્ષને “જનજાતિય ગૌરવ વર્ષ” તરીકે ઊજવી રહ્યાં છીએ. આ ખાસ સંદર્ભમાં આદિજાતિના સર્વાંગી વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના માટે ૩૭.૫% ના વધારા સાથે ₹૧૧૦૦ કરોડની ફાળવણી સૂચવું છું. જેનાથી આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણ, રોજગાર અને માળખાકીય સુવિધાઓના નિર્માણને વધુ વેગ મળશે.
શ્રમિકોને નજીવા દરે ભોજન મળી રહે તે હેતુથી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” હેઠળ ૨૯૦ કેન્દ્રો કાર્યરત છે. જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ ઔધોગિક વિસ્તારમાં અને બાંધકામ વિસ્તારમાં વધારવામાં આવશે.
શ્રમિકોને કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી “મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું.
માનનીય પ્રધાનમંત્રીશ્રીની દિવ્યાંગજનો પ્રત્યેની સંવેદનાને સાકાર કરવા “સંત સુરદાસ યોજના” હેઠળ ૮૦% ને બદલે હવેથી ૬૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા ૮૫ હજારથી વધુ દિવ્યાંગજનોને પણ વાર્ષિક ₹૧૨ હજારની સહાય આપવાની જાહેરાત કરું છું.
નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇનુ ઉદ્બોધન (3)
ગુજરાતની આશરે ૩૬% વસ્તી યુવા છે. રાજ્યની આ યુવાશક્તિની પ્રગતિ માટે અમારી સરકાર તેમને જરૂરી શિક્ષણ, સંસાધનો તથા રોજગારી ઉપલબ્ધ કરાવવા સતત કાર્યરત છે. સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા ૮૧ લાખથી વધુ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ થકી શિક્ષણને સુલભ બનાવવા દરેક તબક્કે વિવિધ શિષ્યવૃત્તિઓ માટે ₹૪૮૨૭ કરોડની જોગવાઇ સૂચવું છું.
યુવાનો ઉચ્ચ અભ્યાસ મેળવી શકે તે માટે અલગ અલગ ૧૦ જિલ્લાઓમાં કુલ ૨૦ સ્થળોએ સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બાંધવામાં આવશે. જેનો લાભ ૧૩ હજારથી વધુ વિદ્યાર્થીઓને મળશે.
“ખેલે તે ખીલે”ના અભિગમ સાથે ગુજરાતના યુવાનો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સુવિધાઓ સ્થાપવાનું આયોજન છે. યુવાનોને વિવિધ રમતગમત સ્પર્ધાઓ માટે તૈયાર કરવા ઓલિમ્પિક રેડીનેસ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવેલ છે. અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને કરાઇ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્સ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આઇ.ટી.આઇ.ના તાલીમાર્થીઓને ઉદ્યોગોની માંગ અનુરૂપ ટેકનોલોજી અને અદ્યતન સાધનોથી તાલીમ મળી રહે તે ઉદ્દેશથી આઇ.ટી.આઇ ને અપગ્રેડ કરવા ₹૪૫૦ કરોડની માતબર જોગવાઇ કરું છું. આ આયોજનથી આવનારા પાંચ વર્ષમાં અંદાજિત પાંચ લાખ તાલીમાર્થીઓ તેનો લાભ મેળવશે.
આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સના યુગમાં આપણા યુવાનો દુનિયા સાથે કદમ મિલાવી શકે તે માટે એલ.ડી.ઈજનેરી કોલેજ, અમદાવાદ ખાતે અને અન્ય છ સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે AI લેબ સ્થાપિત કરવામાં આવશે.
અમદાવાદ ખાતેના i-Hub અને i-Create થકી સ્ટાર્ટઅપ્સ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ સફળતાપૂર્વક ઊભી થઇ છે. રાજ્યના અન્ય વિસ્તારમાં સ્ટાર્ટઅપ્સને વેગ આપવા માટે ચાર રીજીયનમાં i-Hubની સ્થાપનાનું
આયોજન છે.
રાજ્ય સરકારે સર્વિસ ક્ષેત્રમાં વધુ રોજગારીનું નિર્માણ કરવાના હેતુથી “ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ"(GCC) નીતિ અમલમાં મૂકી છે. જેના અમલથી આ ક્ષેત્રની ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે અને ૫૦ હજારથી વધુ રોજગારીનું સર્જન થશે.
ગુજરાતના યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવાનો અમારો સંકલ્પ છે. MSME, ટેકસટાઇલ વગેરે મહત્તમ રોજગારી આપતા ક્ષેત્રો છે. આ ક્ષેત્રોને વધુ વિકસાવવા MSMEને પ્રોત્સાહન, નવી ટેક્સટાઇલ નીતિ, મેન્યુફેક્ચરિંગ પાર્ક વગેરેને લીધે રાજ્યમાં મૂડી રોકાણમાં નોંધપાત્ર વધારો થશે. આ નીતિઓ થકી લગભગ પાંચ લાખથી વધુ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારીનું નિર્માણ થશે.
આ બજેટમાં રાજ્યના લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગો ઉપરાંત સ્ટાર્ટઅપ એકમોની વિવિધ યોજનાઓ હેઠળ સહાય માટે અંદાજે ₹૩૬૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું.
ગુજરાત ટેકસટાઇલ એકમો વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બને તે માટે રાજ્ય સરકાર દ્વારા અમલી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી થકી વિવિધ સહાય પૂરી પાડવા આ બજેટમાં ₹૨૦૦૦ કરોડની જોગવાઇ કરું છું.
કુટીર ઉદ્યોગ ક્ષેત્રમાં સ્વ-રોજગારીને પ્રોત્સાહન આપવા માટે “વાજપાઇ બેંકેબલ યોજના” હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્રોમાં મળતી લોન વધારી ₹૨૫ લાખ તથા સબસીડી રકમ વધારી ₹૩ લાખ ૭૫ હજાર કરવાનો નિર્ણય કરેલ છે. આ યોજનાની જોગવાઇમાં ૧૦૦% નો વધારો કરીને ₹૪૮૦ કરોડની જોગવાઇ સૂચવું છું.
આદિજાતિ, અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના યુવાનો માટે સ્વ-રોજગારીની તક વધારવાની રાજ્ય સરકારની નેમ છે. આ માટે નાણાકીય સહાય માટે વ્યાજ સબસીડી આપવાની જાહેરાત કરું છું. આ બેંકેબલ યોજનામાં ₹૧૦ લાખ સુધીની લોન ઉપર મહિલા લાભાર્થીઓને ૭% તથા પુરુષ લાભાર્થીઓને ૬% વ્યાજ સહાયનો લાભ મળશે.
માનનીય વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિ થકી આજે પ્રવાસન ઝડપથી વિકાસ પામતું ક્ષેત્ર છે. યુનેસ્કોની વિશ્વના સૌથી ૭ સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં ભુજનું સ્મૃતિવન સામેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઐતિહાસિક નગરી વડનગર જેવા અનેક સ્થળોની કાયાપલટથી ગુજરાત દેશ વિદેશના પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બન્યું છે. વર્ષ ૨૦૨૪ દરમ્યાન ૧૮ કરોડ ૬૩ લાખ ઘરેલુ અને આંતર રાષ્ટ્રીય પ્રવાસીઓ ગુજરાતના મહેમાન બન્યાં છે. પ્રવાસન જેવા રોજગારલક્ષી ક્ષેત્ર વિકસવાથી આપણા યુવાનોને શહેરી અને ગ્રામ્ય ક્ષેત્રોમાં વિશેષ તકો ઊભી થશે. હોટલ વ્યવસાય, પરિવહન અને હસ્તકલા જેવા અનેક ક્ષેત્રોમાં પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે. આ ક્ષેત્રના વિકાસ માટે પ્રવાસન પ્રભાગના બજેટમાં ૩૧% ના વધારા સહિત વિવિધ વિભાગો હેઠળ ₹૬૫૦૫ કરોડ સૂચવું છું.
જેમાં ઇન્ટ્રીગ્રેટેડ ટુરિઝમ ડેસ્ટીનેશન ડેવલપમેન્ટ હેઠળ મહત્વના પ્રવાસન સ્થળોને સાંકળતા ૧૫૦ જેટલા રસ્તાઓના વિકાસ અને પ્રવાસીઓ માટે નવીન ૨૦૦ એ.સી.બસો સંચાલિત કરવામાં આવશે. એકાવન શક્તિપીઠો પૈકીના આદ્યશક્તિ માઁ અંબાના ધામ અંબાજીના વિકાસ માટે ₹૧૮૦ કરોડની વિશેષ જોગવાઇ કરું છું.
ધાર્મિક શહેરોના સર્વાંગી વિકાસના ઉદ્દેશથી દ્વારકા, સોમનાથ, બહુચરાજી, ગિરનાર, પાવાગઢ, સિદ્ધપુર, ડાકોર, પાટણ અને પાલિતાણા જેવા તીર્થસ્થાનોની માળખાગત સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. જેનાથી આ શહેરોમાં પ્રવાસન ક્ષેત્રે રોકાણને પ્રોત્સાહન ઉપરાંત સ્થાનિક રોજગારને ઉત્તેજન મળશે.
નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇનુ ઉદ્બોધન (4)
જગતના તાત એવા અન્નદાતા માટે અમારી સરકાર હંમેશા સંવેદનશીલ રહી છે. ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી વાળવામાં ઝેરી જીવજંતુઓ તેમજ જંગલી પ્રાણીઓનો ભય રહેતો હતો. આ મુશ્કેલીઓ અને રાતના ઉજાગરામાંથી મુકત કરવા અમે દિવસે વીજળી આપવા “કિસાન સૂર્યોદય યોજના” અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ રાજ્યના ૧૬,૬૮૩ એટલે કે ૯૭% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું ભગીરથ કાર્ય માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ યોજનાને વધુ સુદ્રઢ કરવા માટે આ બજેટમાં ₹૨૧૭૫ કરોડની ફાળવણી કરું છું.
સરદાર સરોવર બંધનું કામ પૂર્ણ થયા બાદ કેનાલ હેઠળના કામો પૂર્ણતાના આરે છે. સરદાર સરોવર યોજનાની ૧૮ લાખ હેક્ટર સિંચાઇ ક્ષમતા સામે ૧૭.૨૨ લાખ હેક્ટર સિંચાઇ વિસ્તાર વિકસિત થયેલ છે. બાકી રહેતા નહેરોના નેટવર્કના કામો પ્રગતિ હેઠળ છે.
કેન્દ્રિય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા ₹૩ લાખથી વધારી ₹૫ લાખ કરવામાં આવેલ છે. જેનો પૂર્ણ પણે અમલ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જે અંતર્ગત ૪% વ્યાજ રાહત આપવા માટે ₹૧૨૫૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ લોન દર વર્ષે ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડુઓને મળતાં તેઓ પોતાની પ્રવૃત્તિ સમયસર કરી શકે છે.
રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાને પ્રાથમિકતા આપેલી છે. પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવાન બનાવવા તેને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે ₹૪૦૦ કરોડથી વધુની જોગવાઇ સૂચવું છું.
કૃષિ ઉત્પાદકતા અને ખેડૂતોની આવક વધારવા માટે અમારી સરકાર કૃષિ-યાંત્રિકીકરણને મહત્વ આપે છે. આ બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરી ₹૧ લાખ કરવાની જાહેરાત કરું છું. આ ઉપરાંત ખેડૂતોને વિવિધ ખેતઓજારો, મીની ટ્રેક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા ₹૧૬૧૨ કરોડની જોગવાઇ કરવામાં આવે છે.
ઊભા પાકને વન્ય પ્રાણીઓથી રક્ષણ માટે ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવા માટે ₹૫૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું. કૃષિ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા એગ્રો પ્રોસેસીંગ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું.ગ્રામ્ય વિસ્તારોમાં વ્યવસાયની તકો અને આવક વધારવા અમે ખેતીની સાથે સાથે મત્સ્યઉદ્યોગ અને પશુપાલન ઉપર પણ એટલો જ ભાર મૂકી રહ્યાં છીએ.
મત્સ્ય ઉત્પાદનમાં વૃદ્ધિ અને રોજગારી સર્જન માટે આ બજેટમાં ₹૧૬૨૨ કરોડના પેકેજની જોગવાઇ કરવામાં આવી છે. જે થકી અંદાજે કુલ ૨૭ હજાર યાંત્રિક-બિનયાંત્રિક બોટ અને ૨ લાખ જેટલા માછીમારોને વિવિધ યોજનાઓના લાભ મળશે. જેમાં મુખ્યત્વે માછીમારી માટે માળખાકીય સુવિધાઓનો વિકાસ, સ્ટોરેજ, પ્રોસેસીંગ અને નિકાસ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. આથી ખેતીની જમીન પર મત્સ્ય ઉછેર કરવો હોય તેને બિન ખેતીની મંજૂરી લેવી નહીં પડે તેવી નીતિ બનાવવામાં આવશે. “સહકારથી સમૃદ્ધિ” તરફ આગળ વધવા પ્રાથમિક વિષયક સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપી આર્થિક રીતે સક્ષમ બનાવવા જોગવાઇ કરવામાં આવી છે. જેનો લાભ ૧ લાખથી વધુ ખેડૂત સભાસદોને મળશે.
પશુપાલનથી દૂધ ઉત્પાદન દ્વારા લાખો ખેડૂત પરિવારોને પૂરક આવક થઇ રહેલ છે. ગીર ગાય આપણા રાજ્યનું ગૌરવ અને આગવી ઓળખ છે. જેના સંવર્ધન, સંરક્ષણ અને આનુવાંશિક ઓલાદ સુધારણા માટે પોરબંદરના ધરમપુર ખાતે વિવિધ અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે.ગુજરાત શ્વેત ક્રાંતિની જન્મ ભૂમિ છે. પશુપાલન અને ડેરી ઉદ્યોગ થકી આજે રાજ્યની ૧૧ લાખથી વધુ મહિલા પશુપાલકો સ્વ-રોજગારી મેળવવા ઉપરાંત રાજ્યની પ્રગતિમાં યોગદાન આપી રહેલ છે.
નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇનુ ઉદ્બોધન (5)
આધુનિક ગુજરાતના નિર્માણમાં નારીશક્તિની ભૂમિકા અગત્યની છે. જેમાં મહિલા શિક્ષણ મુખ્ય પાયો છે. અમારી સરકારે ગત વર્ષે જાહેર કરેલ “નમો લક્ષ્મી યોજના” થકી ૧૦ લાખ જેટલી વિદ્યાર્થિનીઓ અને “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” થકી અંદાજિત ૬૮ હજાર વિદ્યાર્થિનીઓને સહાય આપવામાં આવી રહેલ છે.
મહિલાઓને પગભર કરવા માટે 'નમો ડ્રોન દીદી યોજના'ને પ્રોત્સાહન આપવા ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે. વધુમાં “લખપતિ દીદી યોજના”ને પ્રોત્સાહન આપવા વિવિધ કૌશલ્યોમાં તાલીમ આપવા તથા સ્વ-રોજગાર શરૂ કરવા માટે વ્યાજ મુક્ત લોન આપવામાં
આવે છે.
મહિલાઓની આત્મનિર્ભરતા માટે હું નવી “સખી સાહસ” યોજનાની જાહેરાત કરું છું. જેમાં મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા ₹૧૦૦ કરોડની જોગવાઇ કરું છું. આપણી જે બહેનોને નોકરી માટે પોતાના ઘરથી દૂર રહેવાની જરૂર પડે છે. તેના માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન છે.
પર્યાવરણની જાળવણી માટે પરંપરાગત ઇંધણને બદલે એલ.પી.જી.ના ઉપયોગથી ધુમાડો ઓછો થાય અને બાળકો અને મહિલાઓનું આરોગ્ય જળવાઇ રહે તે માટે “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” તથા રાજ્ય સરકારની “પી.એન.જી-એલ.પી.જી. સહાય યોજના” અંતર્ગત ₹૫૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું.
“જનતા જૂથ અકસ્માત વીમા યોજના” હેઠળ નિરાધાર વિધવા બહેનો, ખેડૂતો, પશુપાલકો, અસંગઠિત શ્રમિકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સફાઇ કામદારો જેવી વિવિધ કેટેગરીના કુલ ૪ કરોડ ૪૫ લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવેલ છે. હાલમાં આ યોજના હેઠળ ₹૫૦ હજારથી ₹૨ લાખ સુધીનું વીમા કવચ આપવામાં આવે છે. જેમાં વધારો કરી આગામી વર્ષે ₹૨ લાખથી ₹૪ લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડવાની જાહેરાત કરું છું.
ગરીબોના સર્વાંગી વિકાસ, યુવાઓને શિક્ષણ સાથે કૌશલ્ય વર્ધન, અન્નદાતાને રાજ્યની સમૃદ્ધિમાં અગ્રેસર બનાવવા તેમજ નારીશક્તિના ઉત્કર્ષ સાથે તેને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે.
નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇનુ ઉદ્બોધન (6)
માનનીય પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને પરિપૂર્ણ કરવા ગુજરાત સરકારે વિકસિત ગુજરાત ૨૦૪૭નો રોડ મેપ તૈયાર કર્યો છે. બે દાયકાના અવિરત વિકાસનું સાતત્ય જાળવી રાખી આગામી બે દાયકામાં ગુજરાતના નાગરિકો સમૃદ્ધ જીવન અને સમૃદ્ધ આવક (Living Well & Earning Well) મેળવી શકે તે માનનીય મુખ્યમંત્રીશ્રીનું વિઝન છે.
સરકાર આ વિઝનને હકિકતમાં પરિવર્તિત કરવા આયોજનબદ્ધ પ્રોજેકટસ અને પ્રજા કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવાની નેમ ધરાવે છે. આ હેતુ અર્થે આગામી પાંચ વર્ષ માટે ₹૫૦ હજાર કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપિત કરવાની જાહેરાત કરું છું. જે માટે આ વર્ષે ₹૫૦૦૦ કરોડની જોગવાઇ કરું છું.
રાજ્ય સરકારે નીતિ આયોગની તર્જ પર આધારીત “ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન(GRIT)”ની સ્થાપના કરી છે. જેનો ઉદ્દેશ વિકસિત ગુજરાત ૨૦૪૭ માટે લાંબા તેમજ ટૂંકા ગાળાના લક્ષ્યોને ધ્યાને લઇ વિવિધ ક્ષેત્રો માટે વ્યૂહાત્મક યોજનાઓ બનાવવાનો છે.
નીતિ આયોગે દેશમાં ચાર વિસ્તારોને ગ્રોથ હબ તરીકે વિકસાવવા પસંદ કર્યા છે. જેમાં સુરત ઇકોનોમિક રીજીયન(SER)નો સમાવેશ થાય છે. આ વિસ્તારને વૈશ્વિક તર્જ પર વિકસાવવા માટે ૫૬ પરિયોજનાઓ બનાવવામાં આવી છે. જેનાથી SER હેઠળના સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, તાપી, ડાંગ એમ છ જિલ્લાઓમાં ઉદ્યોગ, પ્રવાસન, રોડ નેટવર્ક તથા માળખાકીય સુવિધાઓમાં વૃદ્ધિ થશે.
ગુજરાતને એક વિકસિત અને સમૃદ્ધ રાજ્ય બનાવવા સુરત ઇકોનોમિક રીજીયન(SER)સહિત કુલ છ ગ્રોથ હબ વિકસાવવામાં આવશે. જેના માટે હાલ અમદાવાદ ક્ષેત્ર, વડોદરા ક્ષેત્ર, રાજકોટ ક્ષેત્ર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર અને કચ્છ માટે રીજનલ ઇકોનોમિક પ્લાન બનાવવામાં આવી રહ્યાં છે. જેમાં બાકી તમામ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવશે. જેનાથી રાજ્યમાં સર્વાંગી અને સંતુલિત ક્ષેત્રિય આર્થિક વિકાસ શક્ય બનશે.
રાજ્યના સર્વિસ સેક્ટરને વેગ આપવા માટે હું Commissionerate of Servicesની નવી કચેરી ઊભી કરવાની જાહેરાત કરું છું.
રાજ્યની નદીઓના પાણીનો સૂચારુ જળ સંચય થાય તથા મહત્તમ માત્રામાં ભૂગર્ભ જળ રીચાર્જ થઇ શકે તે માટે ૧૮૫ રીવર બેઝીનમાં ટેકનોફીઝીબીલીટી અભ્યાસ કરી એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે. વધુમાં રાજ્યના ગામો અને શહેરોની ભવિષ્યની પીવાના પાણીની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા નર્મદા બલ્ક પાઇપલાઇન માટે ₹૨૬૩૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇનુ ઉદ્બોધન (7)
ઊર્જા સુરક્ષા માટે ૨૦૩૦ સુધીમાં રીન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક વધારીને ૧૦૦ ગીગા વોટથી વધુ કરવાનું આયોજન છે. હાલમાં ૩૭ ગીગાવોટના રીન્યુએબલ એનર્જી પાર્કનું નિર્માણ કાર્ય કચ્છ ખાતે પ્રગતિ હેઠળ છે. એનર્જી સ્ટોરેજ અને પંપ સ્ટોરેજ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજપત્રમાં વિશેષ જોગવાઇ કરવામાં આવેલ છે.
ગુજરાત ભૂકંપ, ચક્રવાત જેવી કુદરતી આપત્તિઓની શક્યતાઓ ધરાવતું રાજ્ય છે. આપત્તિ વ્યવસ્થાપનને ઝડપી બનાવવાના લક્ષ્ય સાથે સાયકલોન પ્રતિરોધક વીજ માળખું, રસ્તાઓ તથા અન્ય માળખાકીય સુવિધાઓ બનાવવાનું આયોજન છે.
રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓ માટે હાઈસ્પીડ કોરીડોર તેમજ એકસપ્રેસ વે વિકસાવવા માટે આ બજેટમાં કુલ ₹૧૦૨૦ કરોડની જોગવાઇ સૂચવું છું. “ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર” પ્રોજેકટ હેઠળ ૧૩૬૭ કિ.મી.ના ૧૨ નવીન હાઇસ્પીડ કોરીડોર વિકસાવવામાં આવશે.
વધુમાં રાજ્યમાં બે નવા એક્સપ્રેસ-વે વિકસાવવામાં આવશે. જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને “નમોશક્તિ એક્સપ્રેસ-વે” તરીકે વિકસાવવામાં આવશે.
અમદાવાદથી રાજકોટ અને તેનું એક્ષટેન્શન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક, પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતાં “સોમનાથ દ્વારકા એક્સપ્રેસ-વે” તરીકે વિકસાવવામાં આવશે.
આ ઉપરાંત મહત્વના પ્રવાસન સ્થળોને હવાઇ માર્ગે જોડવાનું આયોજન છે. ભારત સરકારના સહકારથી સુરત, વડોદરા, ભાવનગર અને પોરબંદર એરપોર્ટના વિસ્તરણ તથા દાહોદ ખાતે ગ્રીનફીલ્ડ એરપોર્ટ બનાવવાનું આયોજન છે.
નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇનુ ઉદ્બોધન (8)
ગુજરાતની ૫૦% ઉપરાંત વસ્તી શહેરી વિસ્તારોમાં રહે છે. વિકસિત ગુજરાતની યાત્રામાં શહેરીકરણ મહત્વનો ભાગ ભજવે છે. શહેરોને ગતિશીલ, જીવંત, રહેવાલાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ તેમજ સક્ષમ બનાવવા સરકાર કાર્યરત છે.
દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી અને તત્કાલિન માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૫ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી શહેરોના વિકાસની એક નવી દિશા કંડારી હતી. માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં શહેરોને આગળ ધપાવવા અવિરત પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે.
બે દાયકાની આ અવિરત વિકાસ યાત્રામાં ભૌતિક સુવિધાઓ, આધુનિક પરિવહન સુવિધાઓ દ્વારા ગુજરાતના શહેરો વિકસિત થયાં છે. આ ઉપલબ્ધિ માટે રાજ્ય સરકાર, સ્થાનિક પ્રશાસન અને નાગરીકોની સહભાગીતાને ધન્યવાદ આપું છું. આ વિકાસયાત્રાને આગળ ધપાવતા આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઊજવવાની જાહેરાત કરું છું. આ માટે શહેરી વિભાગનું બજેટ આશરે ૪૦% વધારીને ₹૩૦,૩૨૫ કરોડ કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારે ગત બજેટમાં જાહેર કરેલ નવ મહાનગરપાલિકાની રચનાને વિધિવત સ્વરૂપ આપેલ છે. જેના વિકાસને વેગ આપવા માટે ₹૨૩૦૦ કરોડની જોગવાઇ સૂચવવામાં આવેલ છે.
વધુમાં હાલની નગરપાલિકાઓને અપગ્રેડ કરવાનું તથા નવી નગરપાલિકા બનાવવાનું આયોજન છે. રાજ્યની ૬૯ જેટલી નગરપાલિકાઓના વર્ગમાં ફેરફાર કરવામાં આવશે. જેમાં જિલ્લા મથકની ખંભાળીયા, લુણાવાડા, મોડાસા, વ્યારા, છોટા ઉદેપુર, દાહોદ તથા રાજપીપળાને અપગ્રેડ કરવામાં આવશે. તેમજ દ્વારકા, પાલીતાણા, ચોટીલા તથા ડાકોર જેવા ધાર્મિક સ્થળોની નગરપાલિકાઓનો પણ સમાવેશ થાય છે. વડનગરના ૨૫૦૦ વર્ષ જેટલા પૌરાણિક અને ઐતિહાસિક સાંસ્કૃતિક વારસા તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પરનાં સ્થાનને ધ્યાને લઇ તેને “અ” વર્ગમાં અપગ્રેડ કરવામાં આવશે.
જળ સંચય રાજ્યના શહેરી વિસ્તારોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે અંતર્ગત સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ૮૦:૨૦ ના ધોરણે જનભાગીદારીથી “કેચ ધ રેઇન” અભિયાન હેઠળ ભૂગર્ભ જળ રિચાર્જ કરવાનું આયોજન છે. જે માટે ₹૨૫૦ કરોડની ફાળવણી કરવામાં આવશે.
રાજ્યના ૧૦ હજારથી વધુ વસ્તી ધરાવતા મોટા ગામો, શહેરી વિકાસ સત્તા મંડળની આસપાસના ગામો તથા તાલુકાના મુખ્ય મથક હોય તેવા ગામોમાં શહેરની સમકક્ષ આંતરમાળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા ₹૧૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું.
સાબરમતી નદી પર અમદાવાદ–ગીફ્ટ સીટી-ગાંધીનગરને જોડતા રિવરફ્રન્ટના બીજા ફેઝની કામગીરી પ્રગતિમાં છે. બાકીના પાંચ ફેઝનું કામ આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. દેશના સૌથી લાંબા આ રિવરફ્રન્ટના કામ માટે આ બજેટમાં ₹૩૫૦ કરોડ ફાળવું છું.
અમદાવાદ-ગાંધીનગર અને સુરત મેટ્રો વિસ્તરણનું કામ આગળ વધી રહેલ છે. અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-૨નું કામ ડીસેમ્બર-૨૦૨૫માં પૂર્ણ થશે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના ૫૫% કામ પૂર્ણ થયેલ છે. નાગરિકોને રેલ આધારિત ઝડપી, વિશ્વસનીય અને આધુનિક જાહેર પરિવહનની સેવાનો લાભ મળે તે માટે આગામી નાણાકીય વર્ષમાં ₹૨૭૩૦ કરોડની જોગવાઇ સૂચવું છું.
જાહેર પરિવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતા ધ્યાને લઈ ૨૦૬૦ નવી બસો પ્રજાની સેવામાં મૂકવાનું આયોજન છે. જે માટે ₹૧૧૨૮ કરોડની જોગવાઇ સૂચવું છું. આમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી ઔદ્યોગિક વિસ્તારોમાં આવતા શ્રમિકો માટે અને અંતરિયાળ વિસ્તારોને જોડવા ૪૦૦ મીડી બસનું આયોજન છે.
નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇનુ ઉદ્બોધન (9)
ગુજરાતના લોકોનું આરોગ્ય અને સુખાકારી જળવાય તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. અમદાવાદની જેમ ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે મેડીસિટી પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના અમારા નિર્ધારમાં હવે પૂર્ણતાની નજીક છીએ. વધુમાં મેડીસિટી અમદાવાદ ખાતે ન્યુરોલોજી ઈન્સ્ટીટ્યુટ બનાવવાની જાહેરાત કરું છું.
ખોરાક અને ઔષધના નમૂનાઓની ચકાસણી માટે અમદાવાદ-ગાંધીનગર, જુનાગઢ, મહેસાણા અને વલસાડ ખાતે આધુનિક લેબોરેટરી સ્થાપિત કરવામાં આવશે.
રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષા જળવાય તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સાયબર સુરક્ષા અને કાયદાના અમલીકરણમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતાં રાજ્ય કક્ષાએ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ તેમજ તમામ જિલ્લાઓમાં સાયબર ફોરેન્સિક લેબ બનાવવામાં આવશે. નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોની હેરફેરની ગેરકાયદેસર કામગીરી સામે કડક પગલાં લેવા માટે Anti Narcotics Task Forceનું ઓપરેશનલ યુનિટ ઊભું કરવામાં આવશે. આ તમામ માટે કુલ ₹૩૫૨ કરોડની જોગવાઇ સૂચવું છું.
કાયદો અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા SRP, બિન હથિયારી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ વગેરે સંવર્ગની ૧૪ હજારથી વધુ ભરતી કરવાનું આયોજન છે. માર્ગ સલામતીના પગલાં વધારવા તથા ટ્રાફિક નિયમોના અસરકારક અમલીકરણ માટે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા ૧૩૯૦ નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે.
ભવિષ્યની પેઢીને સ્વચ્છ પર્યાવરણની ભેટ આપવાના હેતુથી માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા શરૂ કરાયેલ “એક પેડ માઁ કે નામ” અભિયાન થકી ગ્રીન કવચ વધારવા રાજ્યમાં આ વર્ષે ૧૭ કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. જેને આગળ વધારતાં રાજ્યમાં લોકભાગીદારીથી વૃક્ષોનું આવરણ વધારવા “હરીત વન પથ” હેઠળ ₹૯૦ કરોડની જોગવાઇ સૂચવું છું.
રાજ્ય સરકારના પેન્શનરોને દર વર્ષે હયાતિની ખરાઇ માટે સંબંધિત કચેરીમાં-બેન્કમાં રૂબરૂ જવું પડે છે. હવે રાજ્યના ૫ લાખ ૧૪ હજાર પેન્શનરોને ઘર આંગણે હયાતીની ખરાઇ ઓનલાઇન તેમજ વિનામૂલ્યે કરવાની જાહેરાત કરું છું.
નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇનુ ઉદ્બોધન (10)
આ વર્ષ અખંડ ભારતના શિલ્પી અને ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિનું વર્ષ છે. એમના “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના સંકલ્પને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા(સ્ટેચ્યુ ઓફ યુનિટી)ના માધ્યમ દ્વારા શ્રેષ્ઠ શ્રધ્ધાંજલી આપેલ છે. જન્મજયંતી વર્ષના અનુસંધાને યોજાતા કાર્યક્રમો યુવાનોમાં એકતા, દ્રઢતા અને દેશપ્રેમની ભાવના જગાવશે.
ડૉ.બાબાસાહેબ આંબેડકર દ્વારા નિર્માણ પામેલ આપણું મહામૂલું ભારતીય બંધારણ અને તેમાં સમાવિષ્ઠ મૂલ્યો ભારતીય અસ્મિતાનું દર્શન કરાવે છે. ભારતીય બંધારણને ૭૫ વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા બંધારણના આ અમૃત પર્વની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવશે.
ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીનું આ જન્મ શતાબ્દી વર્ષ છે. જેના ઉપલક્ષમાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીએ સ્વ.અટલજીની સુરાજ્ય ક્રાંતિને આગળ ધપાવીને ગુડ ગવર્નન્સની દિશા આપી છે. રાજ્યના વહીવટી માળખામાં તેમજ કાર્યપદ્ધતિમાં જરૂરી સુધારા કરવા, માનવશક્તિનું તર્કસંગીકરણ કરવા અને નવીનતમ ટેકનોલોજીના ઉપયોગથી સરકારી તંત્રની કાર્ય ક્ષમતામાં વધારો કરવાના હેતુથી ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવાની જાહેરાત કરું છું.
અમારી સરકાર આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ(AI) નો ગવર્નન્સમાં મહત્તમ ઉપયોગ કરી લોકોને “ઇઝ ઓફ લીવીંગ” પૂરું પાડવા સંકલ્પબદ્ધ છે. AIનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં વધારવા રાજ્ય સરકારે નિષ્ણાતોનો સમાવેશ કરી AI Taskforceની રચના કરી છે. ગુજરાતને AI Hub બનાવવા અને ટેકનોલોજી આધારિત ગવર્નન્સમાં અગ્રેસર બનાવવાની રાજ્ય સરકારની નેમ છે.
વિકસિત ગુજરાત-૨૦૪૭ થકી વિકસિત ભારત-૨૦૪૭નું નિર્માણ કરવા વિકાસના પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંશાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ ૨૦૨૫-૨૬નું ₹૩ લાખ ૭૦ હજાર ૨૫૦ કરોડનું વિક્રમી અંદાજપત્ર આ સન્માનનીય ગૃહ સમક્ષ હું રજૂ કરું છું.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹૬૮૦૭ કરોડની જોગવાઇ
સમાજના તમામ વંચિત સમુદાયના જીવનના દરેક તબક્કાને આવરી લેતાં, બાળ સંરક્ષણથી વૃદ્ધત્વ સુધી સહાય પૂરી પાડવા અમારી સરકાર કટિબદ્ધ છે.
પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે ૪૨ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા માટે ₹૭૧૭ કરોડની જોગવાઇ.
પી.એમ.યશસ્વી પ્રિ-મેટ્રીક અને પોસ્ટ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના માટે ₹૫૨૦ કરોડની જોગવાઇ.
વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત વિદેશમાં ચાલતા ઉચ્ચ કક્ષાના અભ્યાસ અર્થે ₹૧૫ લાખની લોન ૪%ના દરે આપવામાં આવે છે. જે અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ₹૧૦૦ કરોડ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે ₹૮૦ કરોડની જોગવાઇ.
સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ ૯માં અભ્યાસ કરતી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની તેમજ આર્થિક પછાત વર્ગની ૧ લાખ ૨૫ હજાર વિદ્યાર્થિનીઓને અને અનુસૂચિત જાતિની ૧૩,૬૦૦ વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે સાયકલ આપવા માટે ₹૮૪ કરોડની જોગવાઇ.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અનુસાર રચાયેલ બાલવાટિકામાં અભ્યાસ કરનાર અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે ૨ લાખ ૨૨ હજાર વિદ્યાર્થીઓને ગણવેશ સહાય આપવા માટે ₹૨૦ કરોડની જોગવાઇ.
દિવ્યાંગોને મોટરાઇઝડ ટ્રાયસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેર આપવા ₹૬૦ કરોડની જોગવાઇ.
દિવ્યાંગજનો માટેની સંત સુરદાસ યોજના હેઠળ કુલ ₹૧૭૦ કરોડની જોગવાઇ.
તમામ જાતિ-વર્ગના છાત્રો એક જ છત હેઠળ રહે એ અભિગમથી જુદા જુદા ૧૦ જિલ્લાઓમાં ૯ સમરસ કન્યા અને ૧૧ સમરસ કુમાર છાત્રાલયો બનાવવા માટે ₹૮૩ કરોડની જોગવાઇ. જેનાથી અંદાજે વધારાના ૧૩ હજાર કુમાર-કન્યા છાત્રોને લાભ થશે.
ભારતમાં અને વિદેશમાં અભ્યાસ માટે શૈક્ષણિક લોન તથા સ્વરોજગારલક્ષી યોજનાના આશરે ૭૦ હજારથી વધુ લાભાર્થીઓ માટે ₹૮૩૧ કરોડની જોગવાઇ.
અનુસૂચિત જાતિ અને વિકસતિ જાતિના લાભાર્થીઓને બેન્ક મારફતે વાહન, સ્વરોજગારી તેમજ ભારત અથવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લીધેલ લોન પર ૬% વ્યાજ સબસીડી આપવા માટે ₹૨૫ કરોડની જોગવાઇ.
વિભાગની આવાસ યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો તથા વિચરતી-વિમુક્ત જાતિઓના અંદાજિત ૨૧૫૦૦ લાભાર્થીઓને અપાતી મકાન સહાયમાં ₹૫૦ હજારનો વધારો કરવામાં આવે છે. જે માટે ₹૪૦૦ કરોડની જોગવાઇ.
આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹૫૧૨૦ કરોડની જોગવાઇ
અંત્યોદયની વિચારધારાને વરેલી અમારી સરકાર, વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે. વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ માં આગામી પાંચ વર્ષમાં ₹૧ લાખ કરોડની ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત માર્ચ ૨૦૨૫ના અંત સુધીમાં ₹૬૯,૮૮૨ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. અને આ વર્ષે અંદાજિત ₹૩૦,૧૨૧ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. મને જણાવતાં આનંદ થાય છે કે આ ફાળવણી સાથે આપણે ₹૧ લાખ કરોડનો લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે.
સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે ₹૯૧૨ કરોડની જોગવાઇ.
અંદાજે ૩ લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ આપવા ₹૭૫૫ કરોડની જોગવાઇ.
૬૬૪ આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતાં અંદાજે ૧ લાખ વિધાર્થીઓ માટે ₹૫૪૭ કરોડની જોગવાઇ.
૧૭૬ સરકારી છાત્રાલયો અને ૯૨૧ ગ્રાન્ટ ઈન એઇડ છાત્રાલયોના અંદાજિત ૭૦ હજાર વિદ્યાર્થીઓ માટે ₹૩૧૩ કરોડની જોગવાઇ.
દૂધ સંજીવની યોજના અંતર્ગત ₹૨૩૩ કરોડની જોગવાઇ.
રાજ્યમાં ૪૮ એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ, ૪૩ ગર્લ્સ લીટરસી રેસિડેન્શીયલ સ્કૂલ, બે સૈનિક સ્કૂલ તથા ૭૪ આદર્શ નિવાસી શાળાઓ એમ કુલ ૧૬૭ નિવાસી શાળાઓ કાર્યરત છે. જેનો વ્યાપ વધારતા આ વર્ષે ડોલવણ, ખેરગામ, નેત્રંગ અને સંજેલી ખાતે ૪ નવી એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ શરૂ કરવામાં આવશે. આમ આ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે ૪૦ હજાર વિદ્યાર્થીઓ માટે અને નવી શરૂ થનાર સ્કૂલો માટે કુલ ₹૨૮૫ કરોડની જોગવાઇ.
પ્રિ મેટ્રીકના આશરે ૧૩ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા ₹૧૬૦ કરોડની જોગવાઇ.
ધો.૧ થી ૮માં અભ્યાસ કરતાં અંદાજે ૧૨ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે ₹૧૦૮ કરોડની જોગવાઇ.
વિદ્યા સાધના યોજના હેઠળ ધોરણ ૯માં અભ્યાસ કરતી ૩૩ હજાર આદિજાતિ વિદ્યાર્થિનીઓને વિના મૂલ્યે સાયકલ આપવા ₹૧૫ કરોડની જોગવાઇ.
મુખ્યમંત્રી આદિમજુથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ ₹૧૨૫ કરોડની જોગવાઇ.
મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના હેઠળ ₹૧૦૨ કરોડની જોગવાઇ.
મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ ₹૧૦૦ કરોડની જોગવાઇ.
સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ ₹૮૭ કરોડની જોગવાઇ.
કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે ₹૪૨ કરોડની જોગવાઇ.
આદિજાતિ વિસ્તારની નિવાસી શાળાઓમાં ગ્રીન કેમ્પસ બનાવવા ₹૭ કરોડની જોગવાઇ.
આદિજાતિના લોકોને વ્યક્તિગત ધોરણે આવાસ સહાય માટે ₹૯૯ કરોડની જોગવાઇ.
યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત આદિજાતિના યુવક-યુવતીઓ સ્વરોજગાર શરૂ કરી આર્થિક વિકાસની નવી તકો ઊભી કરે તે હેતુથી બેન્ક ધિરાણ પર વ્યાજ સહાય આપવા માટે ₹૭૪ કરોડની જોગવાઇ.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ₹૨૭૮૨ કરોડની જોગવાઇ
અમારી સરકારે સ્વરોજગાર થકી આર્થિક વિકાસ માટે કૌશલ્ય વિકાસને પ્રાધાન્ય આપ્યું છે.
સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને સુદ્રઢ કરવા ₹૨૦૬ કરોડની જોગવાઇ, જે પૈકી આદિજાતિ વિસ્તાર માટે ₹૭૩ કરોડની જોગવાઇ.
શ્રમિક બસેરા યોજના માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ.
ઔદ્યોગિક એકમોમાં કુશળ કારીગરો પૂરા પાડવા માટે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ₹૧૨૨ કરોડની જોગવાઇ.
શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ₹૯૦ કરોડની જોગવાઇ.
બાંધકામ શ્રમિકોને કૌશલ્ય-ધ-સ્કીલ યુનિવર્સિટી મારફતે કૌશલ્ય વર્ધન તાલીમ આપવા ₹૭૫ કરોડની જોગવાઇ.
સરકારી અને ગ્રાન્ટેડ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં સ્ટાઈપેન્ડના હાલના દરોમાં વધારો કરી તાલીમાર્થી દીઠ માસિક ₹૫૦૦ કરવામાં આવે છે. જેના માટે ₹૭૦ કરોડની જોગવાઇ.
ધન્વંતરિ આરોગ્ય રથ યોજના અંતર્ગત ₹૫૦ કરોડની જોગવાઇ.
સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓની પ્રાયોગિક તાલીમ, અદ્યતન મશીનરી અપગ્રેડ કરવા માટે ₹૪૨ કરોડની જોગવાઇ.
કૌશલ્ય-ધ-સ્કીલ યુનિવર્સિટી ખાતે ક્ષમતા નિર્માણ અને તાલીમ માટે ₹૪૦ કરોડની જોગવાઇ.
ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલી યોજનાઓ માટે ₹૨૯ કરોડની જોગવાઇ.
કૌશલ્ય-ધ-સ્કીલ યુનિવર્સિટીના બાંધકામ માટે ₹૨૭ કરોડની જોગવાઇ.
શિક્ષણ વિભાગ માટે કુલ ₹૫૯,૯૯૯ કરોડની જોગવાઇ
ગુજરાતની શિક્ષણ પદ્ધતિ ૨૧મી સદીની આવશ્યકતાઓ અને વૈશ્વિક બજારની માંગ અનુસાર બદલાઈ રહી છે. ટેકનોલોજી, ઇનોવેશન અને કુશળતા વિકાસ દ્વારા વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગત્યનો ભાગ ભજવશે.
મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આશરે ૨૫ હજારથી વધુ વર્ગખંડોના માળખાગત સુધારણા માટે ₹૨૯૧૪ કરોડની જોગવાઇ.
નમો લક્ષ્મી યોજના માટે ₹૧૨૫૦ કરોડની જોગવાઇ.
રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ₹૭૮૨ કરોડની જોગવાઇ.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે ૨ લાખ ૫૦ હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ₹૨૫૦ કરોડની જોગવાઇ.
એસ.ટી.નિગમની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને બસ પાસ ફી કન્સેશન માટે ₹૨૨૩ કરોડની જોગવાઇ.
જ્ઞાનશક્તિ રેસિડેન્શીયલ સ્કૂલ્સ ઑફ એકસલન્સ માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ.
સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંદાજીત ૨૨ હજાર કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા પ્રગતિમાં છે.
મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ હેઠળ અંદાજે ૭૫ હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ.
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ અંતર્ગત અંદાજે ૯૦ હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ₹૭૦ કરોડની જોગવાઇ.
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અંતર્ગત અંદાજે ૭૮ હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા ₹૪૧૦ કરોડની જોગવાઇ.
એલ.ડી.ઈજનેરી કોલેજ-અમદાવાદ ખાતે ડેમોન્સ્ટ્રેટીવ આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ લેબ અને અન્ય છ સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ લેબની સ્થાપના માટે ₹૧૭૫ કરોડની જોગવાઇ.
મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના(CMSS) અંતર્ગત ૨૫૦૦ વિદ્યાર્થીઓને સહાય આપવા ₹૩૨ કરોડની જોગવાઇ.
વિદ્યાર્થીઓ ગ્રીન એનર્જી, સેમિકન્ડકટર, ફિનટેક, એરોસ્પેસ વગેરે વિષયોમાં કૌશલ્ય વિકાસ થકી આગામી સમયમાં ઉદ્ભવનાર તકનો લાભ મેળવી શકે તે હેતુથી ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (GIT) માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ.
રાજ્યનો વિદ્યાર્થી વધુ તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ અને સ્પર્ધાત્મક બને તે માટે ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ(G3Q) અંતર્ગત ₹૩૦ કરોડની જોગવાઇ.
અમદાવાદના i-Hubની તર્જ પર રાજ્યમાં ૦૪ પ્રાદેશિક કેન્દ્રોની સ્થાપનાનું આયોજન. i-Hub મારફતે સ્ટાર્ટઅપ્સ-ઇનોવેટર્સને નાણાકીય સહાય માટે ₹૨૫ કરોડની જોગવાઇ.
શોધ યોજના – (Scheme of Developing High quality research) અંતર્ગત પી.એચ.ડી. કોર્સમાં સંશોધન કરતાં વિદ્યાર્થીઓને આર્થિક સહાય માટે ₹૨૦ કરોડની જોગવાઇ.
NAAC અને NIRF રેન્કિંગમાં સારા પ્રદર્શન હેતુ પાંચ કાર્યરત સરકારી કોલેજોના વર્ગખંડોને સ્માર્ટ ક્લાસરૂમ બનાવવા માટે ₹૮ કરોડની જોગવાઇ.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹૨૩,૩૮૫ કરોડની જોગવાઇ
રાજ્ય સરકાર વર્ષ ૨૦૩૦ સુધીમાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ૫૦% ઘટાડાના ધ્યેય સાથે રાજ્યના તમામ લોકોની આરોગ્ય અને સુખાકારી વધુ મજબૂત બનાવવા કાર્યશીલ છે. જે માટે હું આ વિભાગના ₹૨૦,૧૦૦ કરોડના બજેટમાં ૧૬.૩૫%નો વધારો કરી ₹૨૩,૩૮૫ કરોડની જોગવાઇ સૂચવું છું.
વર્ષ ૨૦૨૩-૨૪ના નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ Good Health and Well Being (SDG Index No.3) માં ગુજરાતે દેશના તમામ રાજ્યોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો, ગરીબ અને મધ્યમ વર્ગના એમ કુલ મળી અંદાજે ૨ કરોડ ૬૭ લાખ લોકોને કેશલેસ સારવાર માટે ₹૩૬૭૬ કરોડની જોગવાઇ.
G.M.E.R.S. સંચાલિત મેડીકલ હોસ્પિટલો માટે ₹૧૩૯૨ કરોડની જોગવાઇ.
આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ રાજ્ય સરકાર દ્વારા વર્લ્ડ બેન્કના સહકારથી શરૂ કરાયેલ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ માટે ₹૪૦૦ કરોડની જોગવાઇ.
અમદાવાદની જેમ મેડીસિટી પ્રકારની ઝોનવાઇઝ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવાના અમારા નિર્ધાર અન્વયે વડોદરા ખાતે મલ્ટી સ્પેશિયાલિટી તેમજ કાર્ડિયાક માટેની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણાધીન છે. તે ઉપરાંત સુરત ખાતે કાર્ડિયાક, કિડની અને યુરોલોજી સેવાઓ; રાજકોટ ખાતે કેન્સર અને કાર્ડિયાક સેવાઓ; ગાંધીનગર ખાતે કાર્ડિયાક, કિડની અને યુરોલોજી સેવાઓ શરૂ કરવા ₹૨૩૧ કરોડની જોગવાઇ.
કેન્સરના દર્દીઓને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ, અમદાવાદ સુધી સારવાર લેવા ન આવવું પડે અને નજીકમાં સુવિધા ઉપલબ્ધ બને તે માટે વલસાડ, ગોધરા, હિંમતનગર અને પોરબંદર ખાતે સારવાર શરૂ કરવા ₹૧૯૮ કરોડની જોગવાઇ.
બી. જે. મેડીકલ કોલેજ-અમદાવાદ, મેડીકલ કોલેજ-વડોદરા અને એમ. પી. શાહ મેડીકલ કોલેજ-જામનગર ખાતે પી.જી.ના વિધાર્થીઓ માટે હોસ્ટેલનું બાંધકામ કરવા ₹૧૩૭ કરોડની જોગવાઇ.
સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ.
સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે તાત્કાલિક સારવારની સેવાઓ સુદ્રઢ કરવા ₹૫૨ કરોડની જોગવાઇ.
આદિજાતિ અને સામાન્ય વિસ્તારના સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે સાધન સામગ્રી પૂરી પાડવા માટે ₹૫૨ કરોડની જોગવાઇ.
એમ્બ્યુલન્સની સુવિધા સુદ્રઢ બનાવવા માટે ૧૦૮ ઇમરજન્સી સેવા હેઠળ ૨૦૦ નવી એમ્બ્યુલન્સ માટે ₹૪૮ કરોડની જોગવાઇ.
સુરત અને વડોદરા ખાતે ગાયનેક, પિડીયાટ્રીક વિભાગ અને સંલગ્ન નિયોનેટલ આઈ.સી.યુ., ઓબ્સેટ્રેટિક આઈ. સી. યુ., ગાયનેક આઈ. સી. યુ. વગેરેની સેવાઓ તથા પિડીયાટ્રીક સર્જરી વિભાગ શરૂ કરવા માટે ₹૪૪ કરોડની જોગવાઇ.
નર્સિંગ કોલેજ, સુરત અને જામનગર ખાતે વિધાર્થીનીઓ માટે ગર્લ્સ હોસ્ટેલનું બાંધકામ કરવા ₹૪૧ કરોડની જોગવાઇ.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર માટે ગાંધીનગર-અમદાવાદ ખાતે ખોરાક અને ઔષધના નમૂના તેમજ જુનાગઢ, મહેસાણા અને વલસાડ ખાતે ખોરાકના નમૂનાઓની ચકાસણી માટે આધુનિક પ્રયોગશાળા ઊભી કરવા ₹૨૮ કરોડની જોગવાઇ.
ગવર્મેન્ટ સ્પાઈન ઈન્સ્ટીટયુટ, અમદાવાદ ખાતે સ્પાઈનલ સર્જરી, ઓક્યુપેશનલ થેરાપી અને પ્રોસ્થેટીક અને ઓર્થોટીક વિભાગોમાં શૈક્ષણિક હેતુ માટે ₹૧૦ કરોડની જોગવાઇ.
ઔષધના નમૂનાઓનું ઓન ધ સ્પોટ ટેસ્ટીંગ કરવા માટે ₹૧૦ કરોડની જોગવાઇ.
આયુષ સેવાઓ અદ્યતન બનાવવા સરકારી આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજ, હોસ્પિટલો તથા દવાખાનામાં તબીબી ઉપકરણો માટે વિશેષ જોગવાઇ કરવામાં આવી છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹૭૬૬૮ કરોડની જોગવાઇ
GYANના ચાર આધાર સ્તંભો પૈકીનો એક સ્તંભ એવી નારીશક્તિની ભૂમિકા આધુનિક સમાજની વિકાસ યાત્રામાં અગત્યની છે. મહિલાઓ અને બાળકોના પોષણને સુદ્રઢ કરવા, આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પોષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે DBT માધ્યમથી માસિક ₹૧૨૫૦ની સહાય માટે ₹૩૦૧૫ કરોડની જોગવાઇ.
આંગણવાડી કાર્યકર/તેડાગર, મીની આંગણવાડી કાર્યકર બહેનના માનદવેતન માટે ₹૧૨૪૧ કરોડની જોગવાઇ.
પોષણ સુધા યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના ૧૪ જિલ્લાઓના ૧૦૬ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને દિવસમાં એક વખત સંપૂર્ણ ગરમ ભોજન, ફોલિક એસીડ અને કેલ્શિયમની ગોળી આપવામાં આવે છે. જેના માટે ₹૯૦ કરોડની જોગવાઇ.
પૂરક પોષણ યોજના અંતર્ગત ૩ થી ૬ વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે ₹૯૭૩ કરોડની જોગવાઇ.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી બે કિલો ચણા, એક કિલો દાળ અને એક લિટર ખાદ્યતેલ આપવા માટે ₹૩૭૨ કરોડની જોગવાઇ.
પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓના કુપોષણનાં પ્રમાણમાં ઘટાડો અને હિમોગ્લોબિનનાં પ્રમાણમાં સુધારો થાય તે હેતુથી પૂર્ણા શક્તિના પેકેટ આપવા માટે ₹૩૩૫ કરોડની જોગવાઇ.
વ્હાલી દિકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે ₹૨૧૭ કરોડની જોગવાઇ.
દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓને ફોર્ટીફાઇડ દૂધ આપવા માટે ₹૧૩૩ કરોડની જોગવાઇ.
વિશેષ સહાય યોજના અંતર્ગત વર્કિંગ વુમન હોસ્ટેલના બાંધકામ માટે ₹૬૯ કરોડની જોગવાઇ.
અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ ₹૨૭૧૨ કરોડની જોગવાઇ
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વંચિતો અને ગરીબ પરિવારો માટે સંજીવની સાબિત થઇ રહેલ છે.
NFSA રેશનકાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવા તુવેરદાળ અને ચણાના વિતરણ માટે ₹૭૬૭ કરોડની જોગવાઇ.
નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ-૨૦૧૩ હેઠળ પાત્રતા ધરાવતા અંદાજે ૭૫ લાખ કુટુંબોને અનાજ પૂરું પાડવા ₹૬૭૫ કરોડની જોગવાઇ.
NFSA લાભાર્થી કુટુંબોને વર્ષમાં બે વખત ખાદ્યતેલ રાહત દરે આપવા માટે ₹૧૬૦ કરોડની જોગવાઇ.
સૂક્ષ્મ પોષકતત્વો યુકત ડબલ ફોર્ટિફાઇડ મીઠા(આયર્ન+આયોડીનયુકત)ના વિતરણ માટે ₹૫૧ કરોડની જોગવાઇ.
નાબાર્ડ લોન યોજના હેઠળ ૫૧ ગોડાઉનના બાંધકામ માટે તથા ભારત સરકારની W.D.R.A.ની ગાઈડલાઈન્સ મુજબ નાગરિક પુરવઠા નિગમ હસ્તકના ગોડાઉનો માટે કુલ ₹૭૦ કરોડની જોગવાઇ.
શ્રીઅન્ન(મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી, જુવાર, રાગીની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત ₹૩૦૦ પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ ચૂકવવા ₹૩૭ કરોડની જોગવાઇ.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ ₹૧૦૯૩ કરોડની જોગવાઇ
ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ મેડલ મેળવી શકે તે માટે તેઓને ખાસ તાલીમ આપવાનું અને રમતગમત સંકુલોને આંતરરાષ્ટ્રીય કક્ષાના ધારા ધોરણ સાથે વિકાસ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે.
રમતગમત ક્ષેત્રે ₹૫૨૧ કરોડની જોગવાઇ
રાજ્યના વિવિધ જીલ્લાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ અર્થે ₹૧૨૫ કરોડની જોગવાઇ.
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું નિર્માણ કરવા ₹૩૩ કરોડની જોગવાઇ.
પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે ₹૧૮૨ કરોડની જોગવાઇ
પુરાતન સ્થળોને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા અને સાંસ્કૃતિક વારસાના જતનના ઉદ્દેશથી ૧૨ રક્ષિત સ્મારકોના સંરક્ષણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને બીજા ૪ નવા સંગ્રહાલયો નિર્માણાધીન છે.
ગ્રંથાલયો માટે ₹૧૩૮ કરોડની જોગવાઇ
૭૧ તાલુકા મથકોએ નવા ગ્રંથાલયો શરૂ કરવા ₹૧૬ કરોડની જોગવાઇ.
ગ્રંથાલય ભવનોના તબક્કાવાર નિર્માણ માટે આગામી વર્ષમાં ૭ જિલ્લા ગ્રંથાલયો અને ૧૫ તાલુકા ગ્રંથાલયો માટે ₹૧૪ કરોડની જોગવાઇ.
૫૩ આદિજાતિ વિસ્તારના ગ્રંથાલયોમાં ઇ-લાયબ્રેરીની સુવિધાઓ વિકસાવવા માટે આયોજન.
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ સાહિત્ય અકાદમી માટે ₹૨૦૮ કરોડની જોગવાઇ
રાજ્યના લોકમેળાઓ પુન: જીવિત કરવા તથા કલા મહોત્સવના આયોજન માટે ₹૧૭ કરોડની જોગવાઇ.
દેશ-વિદેશનાં લોકો નરસિંહ મહેતા અને અન્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને જાણી અને માણી શકે તે માટે ‘નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર’ માટે ₹૧૦ કરોડની જોગવાઇ.
માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹૨૪૭૦૫ કરોડની જોગવાઇ
રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આગામી સમયમાં જરૂરીયાત મુજબના તથા ભારે ટ્રાફીક ઘરાવતા રસ્તાઓને હાઇ સ્પીડ કોરીડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન છે.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે ₹૫૦૦૦ કરોડની જોગવાઇ.
પ્રવાસન સ્થળોને જોડતા ૧૫૦ જેટલા રસ્તાઓને જરૂરીયાત અનુસાર પહોળા/રીસરફેસ કરવા માટે ₹૨૬૩૭ કરોડની જોગવાઇ.
ફાટક મુકત અભિયાન અંતર્ગત રેલ્વે ક્રોસીંગ પર ઓવરબ્રીજ બાંધવાની કામગીરી અન્વયે ₹૧૬૫૯ કરોડના ખર્ચે કુલ ર૯ કામો પ્રગતિ હેઠળ.
ભુજ-નખત્રાણા ચારમાર્ગીય હાઇસ્પીડ કોરીડોરની કામગીરી માટે ₹૯૩૭ કરોડની જોગવાઇ.
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કાની ૬૬૦ કિ.મી.ની કામગીરી માટે ₹૬૦૦ કરોડની જોગવાઇ.
રાજ્યના ઔદ્યોગિક અને કવોરી વિસ્તારોને જોડતા કુલ ૬૩ રસ્તાઓની સુધારણા, મજબૂતીકરણની કામગીરી માટે ₹૫૨૮ કરોડની જોગવાઇ.
આ રસ્તાઓમાં અગત્યના ઐાદ્યોગિક વિસ્તારો જેમ કે અમદાવાદ, વટવા, સાણંદ, સાવલી, ભરૂચ, અંકલેશ્વર, વલસાડ-વાપી.
કવોરીઓ જેવી કે સણવલ્લા, ટાંકલ, રાણકુવા, રૂમલા, કરંજવેરી, ભિલાડ-ધનોલી–ઝરોલી, સેવાલીયા, ટીમ્બા.
નવા પુલો, જૂના પુલોના પુન:બાંધકામ, મજબૂતીકરણ, મરામત અને રેટ્રોફિટીંગની કામગીરી માટે ₹૩૮૫ કરોડની જોગવાઇ.
હવામાનમાં થતા પ્રતિકૂળ ફેરફારો સામે ટકી શકે તેવા સક્ષમ(કલાઈમેટ રેઝીલીયન્ટ) રસ્તાઓ અને પુલોના બાંધકામ માટે ₹૩૦૦ કરોડની જોગવાઇ.
રાજ્યના કોર રોડ નેટવર્કના રસ્તાઓ ઉપર ટ્રાફિક ભારણ ઘટાડવા તેમાં સમાવિષ્ટ કુલ ૧૬ રસ્તાઓની સુધારણા, અપગ્રેડેશન, વાઇડનીંગ અને મજબૂતીકરણની કામગીરી માટે ₹૨૮૫ કરોડની જોગવાઇ.
ભારે ટ્રાફિક ધરાવતા હાઈસ્પીડ કોરીડોર જેવા કે અમદાવાદથી ડાકોર, સુરતથી સચિન–નવસારી, વડોદરાથી એકતાનગર, રાજકોટથી ભાવનગર, મહેસાણાથી પાલનપુર અને અંકલેશ્વરથી રાજપીપળા માટે ₹૨૭૮ કરોડની જોગવાઇ.
નવી ટેકનોલોજી, સાધનો અને માલસામાનના ઉપયોગ સાથેના બાંધકામ કામો માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ.
રાજ્યના બંદરોને જોડતા ૨૮ હયાત રસ્તાઓની સુઘારણા અને રોડ સેફટી સંબંઘિત કામગીરી માટે ₹૧૮૭ કરોડની જોગવાઇ.
રાજ્ય હસ્તકના સ્ટેટ હાઈવેની મરામત અને જાળવણી કરવાની કામગીરી માટે ₹૧૮૦ કરોડની જોગવાઇ.
ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અગત્યના પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા ચાર રસ્તાઓના ૧૪૨ કિ.મી. માર્ગોના રીસરફેસિંગ માટે ₹૧૩૧ કરોડની જોગવાઇ.
વનબંધુ કલ્યાણ યોજના-૨ હેઠળ આદિજાતિ વિસ્તારમાં ગામમાંથી શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધીના પાકા રસ્તા અને પુલો માટે ₹૧૨૩ કરોડની જોગવાઇ.
ગાંધીનગર ખાતે વિવિધ કક્ષાના ૧૬૮૦ ક્વાટર્સનાં કામ માટે ₹૧૨૦ કરોડની જોગવાઇ.
ગાંધીનગર-પેથાપુર મહુડી રોડ ઉપર ફલાય ઓવર, ચાર માર્ગીયકરણ અને જંકશન સુધારણા માટે ₹૮૫ કરોડની જોગવાઇ.
શહેરી વિકાસ વર્ષ અંતર્ગત શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹૩૦,૩૨૫ કરોડની જોગવાઇ
અમારી સરકાર નાગરિકોને કેન્દ્રમાં રાખી સ્માર્ટ, સ્વચ્છ, સુંદર અને આધુનિક સમયને અનુરૂપ પસંદગીના શહેરો બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટેની જોગવાઇ ₹૮,૮૮૩ કરોડથી વધારીને ₹૧૨,૮૪૭ કરોડ કરવામાં આવી છે.
શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ₹૩૩૫૩ કરોડની જોગવાઇ.
ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ માટે ₹૨૭૩૦ કરોડની જોગવાઇ.
અમૃત ૨.૦ મિશન હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ સિસ્ટમ, તળાવોના વિકાસ, પરિવહન વ્યવસ્થા વગેરે માટે ₹૧૯૫૦ કરોડની જોગવાઇ.
શહેરોમાં વિવિધ વિકાસ કાર્યો માટે ૧૫મા નાણાપંચ હેઠળ ₹૧૩૭૬ કરોડની જોગવાઇ.
પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) અને પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) ૨.૦ હેઠળ શહેરી ગરીબોને આવાસ પૂરા પાડવા માટે ₹૧૩૫૦ કરોડની જોગવાઇ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગુજરાત રેઝિલિયન્ટ સિટીઝ પાર્ટનરશિપ પ્રોગ્રામ માટે અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તાર માટે પેરી-અર્બન લિવેબિલિટી ઇમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટ હેઠળ બાહ્ય ભંડોળ માટે ₹૧૦૦૦ કરોડની જોગવાઇ.
સ્વચ્છ ભારત મિશન ૨.૦ અને નિર્મળ ગુજરાત ૨.૦ જેવી યોજનાઓ સાથે “સ્વચ્છ શહેર, સુંદર શહેર” યોજના અંતર્ગત શહેરી વિસ્તારોમાં બ્યુટીફિકેશન, શહેરી સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન માટે ₹૮૦૮ કરોડની જોગવાઇ.
શહેરી વિસ્તારોને રેલ્વે ક્રોસિંગ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ ઓવર બ્રિજ/અંડર બ્રિજ બનાવવા માટે ₹૫૪૫ કરોડની જોગવાઇ.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઇન્ફ્રાસ્ટ્રકચરના કામો માટે ₹૨૫૩ કરોડની જોગવાઇ.
અમદાવાદમાં SVP સ્પોર્ટ્સ એન્ક્લેવના વિકાસ માટે ₹૨૫૦ કરોડની જોગવાઇ.
મુખ્યમંત્રી ગ્રીન રીંગ રોડ યોજના હેઠળ મુખ્ય શહેરોમાં ગ્રીન રીંગ રોડ વિકસાવવા માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ.
આઇકોનિક રસ્તાઓના વિકાસ માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ.
ધાર્મિક શહેરોના સર્વાંગી વિકાસ યોજના હેઠળ ધાર્મિક નગરોના વ્યૂહાત્મક માળખાગત વિકાસ માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ.
૧૨ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર માટે ₹૧૮૦ કરોડની જોગવાઇ.
રાજ્યમાં અગ્નિશામક સેવાઓ માટે એક રાજ્ય એક કેડરની સ્થાપના દ્વારા અગ્નિશામક અને કટોકટી સેવાઓને મજબૂત બનાવવામાં આવશે. રાજ્ય અગ્નિશામક મુખ્યાલય અને નવા મોડેલ ફાયર સ્ટેશનોની સ્થાપના માટે ₹૧૬૦ કરોડની જોગવાઇ.
રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ ₹૧૨૦ કરોડની જોગવાઇ.
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ખાતે હાલમાં ક્લિન એર પ્રોગ્રામના અમલીકરણ સાથે હવે જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગાંધીનગર અને ભરૂચ-અંકલેશ્વર માટે સ્ટેટ ક્લિન એર પ્રોગ્રામના અમલીકરણ માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ.
ગિફ્ટ સિટીમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે ₹૭૨ કરોડની જોગવાઇ.
પી.એમ. ઈ-બસ યોજના હેઠળ ડેપો ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ₹૫૬ કરોડની જોગવાઇ.
સેટેલાઇટ ટાઉનશીપ વિકસાવવા માટે ₹૫૦ કરોડની જોગવાઇ.
વડોદરા અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાહેર-ખાનગી ભાગીદારી મોડેલ હેઠળ કન્વેન્શન સેન્ટર વિકસાવવા માટે ₹૫૦ કરોડની જોગવાઇ.
શહેરી આયોજન ક્ષેત્રમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે તથા સ્પેશિયલ પ્રોજેક્ટ સેલ અને આયોજન પોર્ટલની સ્થાપના માટે ₹૧૪ કરોડની જોગવાઇ.
ગુજરાત અર્બન એટલાસ હેઠળ મિલકતો અને ઉપયોગિતાઓના GIS મેપિંગ અને મુખ્ય શહેરી પ્રોજેક્ટ માટે ₹૧૦ કરોડની જોગવાઇ.
પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ ₹૧૩,૭૭૨ કરોડની જોગવાઇ
અમારી સરકાર ત્રિસ્તરીય પંચાયતી રાજના માળખાને સુદ્રઢ બનાવવા ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયતના મકાનોનું નવીનીકરણ, રેકર્ડનું મોર્ડનાઈઝેશન અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ગામડાઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી પગલા લઈ રહી છે. ગ્રામ્ય કક્ષાએ સફાઈ, પાણી જેવી મૂળભૂત સુવિધાઓ આપવાની સાથોસાથ ગ્રામ્ય સંસાધનોનું યોગ્ય સંચાલન અને માવજત માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે.
નિર્મળ ગુજરાત-૨.૦ અંતર્ગત રાજ્યના ૭(ગાંધીનગર, મહેસાણા, કચ્છ, જામનગર, આણંદ, પંચમહાલ અને નવસારી) જિલ્લાના ૧૧ તાલુકાઓમાં સમાવિષ્ટ ૩૭૧ ગામોમાં ડોર-ટુ-ડોર ઘન અને પ્રવાહી કચરાના નિકાલ તેમજ જાહેર સ્થળોની સફાઇના કામ માટે ₹૩૩૦ કરોડની જોગવાઇ.
જિલ્લા પંચાયતોને જમીન મહેસૂલ ઉપરના સ્થાનિક ઉપકરનો વધારો મંજૂર થવાથી વધારાના દર પ્રમાણે ચૂકવણું કરવા માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ.
રાજ્યના ઇકોસેન્સિટીવ ઝોનમાં આવેલ ગામોમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવા ₹૩૫ કરોડની જોગવાઇ.
ગ્રામ વિકાસ
પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) થકી રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં વસતા ઘર વિહોણા પરિવારો માટે છેલ્લા ૩ વર્ષમાં ૨ લાખ ૨૨ હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે. આ બજેટમાં આશરે બે લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવાનું આયોજન છે. આ માટે ₹૧૭૯૫ કરોડની જોગવાઇ.
પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) તથા પીએમ-જનમન યોજના હેઠળના ગામતળ ઉપલબ્ધ ન હોય તેવા ગામોના પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા લાભાર્થી દીઠ ₹૧ લાખ સુધીની સહાય આપવા માટે ₹૩૦ કરોડની જોગવાઇ.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના હેઠળ રોજગારી પૂરી પાડવા ₹૧૧૨૯ કરોડની જોગવાઇ.
રાજ્યમાં કુલ ૧૭૭૫૨ ગામોએ ODF પ્લસનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. ગોબરધન પ્રોજેકટની નવીન પહેલથી કચરાને ઊર્જામાં પરિવર્તિત કરી શકાશે તેમજ મહિલા સશક્તિકરણ પણ થશે. જે માટે ₹૬૩૦ કરોડની જોગવાઇ.
મહિલાઓના સ્વસહાય જૂથ થકી આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ₹૪૦૧ કરોડની જોગવાઇ.
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના-વોટરશેડ ડેવલપમેન્ટ કમ્પોનન્ટ ૨.૦ હેઠળ ૫૧ પ્રોજેક્ટ મારફત ૪૧૯ ગામોને લાભ આપવા માટે ₹૧૭૫ કરોડની જોગવાઇ.
દર વર્ષે થનાર “સરસ મેળાઓ”ની સાથે સાથે રણોત્સવ, પ્રાઇવેટ મોલ, વિશેષ કાર્યક્રમો અને પ્રદર્શનમાં ભાગ લેવા સખી મંડળની મહિલાઓ માટે માર્કેટ અવેન્યુ મળી રહે તે માટે ₹૫ કરોડની જોગવાઇ.
નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ ₹૨૫,૬૪૧ કરોડની જોગવાઇ
જળસંપત્તિ પ્રભાગ માટે કુલ ₹૧૩,૩૬૬ કરોડની જોગવાઇ
દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે ₹૧૩૩૪ કરોડ, સૌની યોજના માટે ₹૮૧૩ કરોડ તથા કચ્છ માટેની યોજના હેતુ ₹૧૪૦૦ કરોડ એમ કુલ ₹૩૫૪૭ કરોડની જોગવાઇ.
હયાત સિંચાઇ માળખાના વિસ્તરણ, સુધારણા અને આધુનિકીકરણ માટે ₹૧૫૨૨ કરોડની જોગવાઇ.
ચોમાસામાં દરિયામાં વહી જતાં પાણીને રોકવા અંદાજે ૧ લાખ ૮૭ હજાર કરતાં વધુ ચેકડેમોનાં બાંધકામ કરવામાં આવેલ છે. જેને આગળ વધારતા આગામી વર્ષે ૩૨૬ મોટા ચેકડેમો-વિયર બાંધવા ₹૮૩૨ કરોડની જોગવાઇ.
સાબરમતી નદી પર કુલ ૧૪ વિયર-બેરેજ બનાવવાના કરેલ આયોજનમાં પાંચ વિયર-બેરેજનાં કામો પૂર્ણ થયેલ છે જયારે ૩ કામો પ્રગતિ હેઠળ છે. બાકી રહેતા ૬ કામો પૂર્ણ કરવા ₹૭૫૦ કરોડની જોગવાઇ.
જળાશય આધારીત ઉદ્વહન સિંચાઇ યોજના માટે ₹૮૧૩ કરોડની જોગવાઇ. જે પૈકી આદિજાતિ વિસ્તારમાં ₹૫૪૮ કરોડની જોગવાઇ.
ડેમ સેફટી માટે ₹૫૦૧ કરોડની જોગવાઇ.
ભૂગર્ભજળ રીચાર્જ માટે જનભાગીદારીથી જળસંચય અભિયાનને વેગવંતુ બનાવવા ₹૧૦ કરોડની જોગવાઇ.
રાજ્ય સરકારના અનેક કાર્યક્રમો દ્વારા અત્યાર સુધીમાં ૨૪ લાખ હેક્ટરથી વધુ વિસ્તાર સૂક્ષ્મ સિંચાઇ હેઠળ આવરી લેવાયો છે. જેનાથી અંદાજે ૧૬ લાખ ખેડૂતોને લાભ મળ્યો છે.
ખેડૂતો સૂક્ષ્મ સિંચાઇનો ઉપયોગ કરીને વધુ કૃષિ ઉત્પાદન મેળવી શકે તે માટે આ બજેટમાં ₹૧૨૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જે અંદાજે
૨ લાખ હેક્ટર વિસ્તાર આવરી લેશે અને રાજ્યમાં લગભગ ૧ લાખ ૨૫ હજાર ખેડૂતોને તેનો લાભ મળશે.
ભાડભૂત યોજના સમુદ્રની ભરતીનું ખારૂ પાણી નર્મદા નદીમાં પ્રવેશતું અટકાવવા ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામે બેરેજની યોજના પ્રગતિ હેઠળ છે. જે માટે ₹૮૭૬ કરોડની જોગવાઇ.
સરદાર સરોવર યોજના ગુજરાતની સમૃદ્ધિમાં અમૂલ્ય યોગદાન આપનાર નર્મદા યોજનાથી રાજ્યના ૧૦,૪૫૩ ગામો અને ૧૯૦ નગરોને ઘરવપરાશ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. જેના માટે ₹૫૯૭૯ કરોડની જોગવાઇ.
અમદાવાદ જીલ્લાનાં નળકાંઠાના વિસ્તારમાં સિંચાઈ સુવિધા વધારવા માટે ₹૮૭૫ કરોડની જોગવાઇ.
નર્મદા યોજનાના કમાન્ડ એરિયાના નહેરના વિસ્તરણ વિકાસના કામો માટે ₹૫૦૧ કરોડની જોગવાઇ.
સૌરાષ્ટ્ર તથા કચ્છ શાખા નહેરના પમ્પિંગ સ્ટેશન તથા હાઇડ્રોપાવર સ્ટેશન પર કુલ ૧૪ જગ્યા પર સોલાર પ્રોજેક્ટ માટે ₹૩૦૦ કરોડની જોગવાઇ.
નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રકચર તેમજ જાળવણીની કામગીરી માટે ₹૨૦૪ કરોડની જોગવાઇ.
દિયોદરના ૧૪ ગામો અને સાંતલપુર તાલુકાના ૧૧ ગામોના હાઈ ગ્રાઉન્ડ અનકમાન્ડ વિસ્તાર માટે લિફ્ટ-ગ્રેવિટી પાઈપલાઇન પ્રોજેક્ટ માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ.
પાણી પુરવઠા પ્રભાગ
રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડની સ્થાપનાથી લોકોને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી મળી રહે છે. જે રાજ્ય સરકારની મોટી સિદ્ધિ છે. રાજ્યના આદિજાતિ વિસ્તારના ૧૪ જીલ્લાના ડુંગરાળ અને અંતરિયાળ ગામોમાં પાણી મળી રહે તે માટે અંબાજીથી ઉમરગામ સુધી વિવિઘ પાણી પુરવઠા યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે.
આદિવાસી વિસ્તારના ડાંગ જીલ્લાના કુલ ૨૭૬ ગામો તથા ૩ શહેરોનો સમાવેશ કરતી ડાંગ જીલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત અંદાજીત ₹૮૬૬ કરોડના કામો પ્રગતિ હેઠળ.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભવિષ્યની પીવાના પાણીની જરૂરીયાતને પહોંચી વળવા તેમજ નર્મદા આધારિત માળિયા તથા વલ્લભીપુર બ્રાંચ કેનાલ ઉપરનો આધાર ઘટાડવા માટે ઢાંકીથી માળીયા, ઢાંકીથી નાવડા અને ધરાઇ-ભેંસાણ બલ્ક પાઇપલાઇનનું આયોજન કરેલ છે. આ યોજના અંતર્ગત; ઢાંકીથી માળીયા સુધીની નવીન ૧૨૦ કિ.મી. લંબાઇની બલ્ક પાઇપલાઇનના અંદાજીત ₹૧૨૦૦ કરોડના કામોનું આયોજન.
અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર જીલ્લાઓ માટેની ઢાંકીથી નાવડા સુધીની ૯૭ કિ.મી બલ્ક પાઇપલાઇનના અંદાજીત કિંમત ₹૧૦૪૪ કરોડના કામો પ્રગતિ હેઠળ.
જુનાગઢ જીલ્લા માટેની ધરાઇથી ભેંસાણ સુઘીની ૬૩ કિ.મી લંબાઇની બલ્ક પાઇપલાઇનના અંદાજીત રકમ ₹૩૯૨ કરોડના કામો પ્રગતિ હેઠળ.
ગાંધીનગર ખાતે સેન્ટ્રલ મોનીટરીંગ સ્ટેશન દ્વારા રીયલ ટાઇમ મોનીટરીંગ કરવા માટે કુલ ૨૨૬૩ સ્માર્ટ વોટર ફ્લોમીટર અને ૫૦૦ ઓનલાઇન કવોલીટી એનાલાઇઝર લગાડવાની કામગીરી પ્રગતિ હેઠળ.
આદિજાતિ વિસ્તારના ૧૪ જીલ્લાના ૫૩ તાલુકાના ગામોની આંતરિક પાણી પુરવઠા યોજનાઓની સુચારુ મરામત અને નિભાવણી થાય તે માટે તથા ગ્રામ પંચાયતો દ્વારા પાણી વેરાની મહત્તમ વસૂલાત કરવામાં આવે તે માટે પ્રોત્સાહક રકમ આપવા ₹૬૩ કરોડની જોગવાઇ.
પીવાના પાણીની ગુણવત્તા અને નિયમનને વઘુ સુદ્રઢ કરવા માટે તાલુકા કક્ષાએ ૧૦ નવીન લેબોરેટરીઓની સ્થાપના તથા હાલની લેબોરેટરીઓ માટે ₹૧૬ કરોડની જોગવાઇ.
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ₹૪૨૮૩ કરોડની જોગવાઇ વાહન વ્યવહાર
અમારી સરકાર લોકોને ઝડપી, સુરક્ષિત, પર્યાવરણને અનુકૂળ તેમજ સુવિધાયુક્ત વાહનવ્યવહાર સેવા પૂરી પાડવા સતત કાર્યરત છે.
આધુનિક ટેકનોલોજી ધરાવતી ૧૪૫૦ ડીલક્ષ અને ૪૦૦ મીડી બસ એમ કુલ ૧૮૫૦ નવી બસો પ્રજાની સેવામાં મૂકવા માટે ₹૭૬૬ કરોડની જોગવાઇ.
મુસાફરોની સગવડતાને ધ્યાને લઇ ૨૦૦ નવી પ્રીમિયમ AC બસો અને ૧૦ કારવાન સંચાલનમાં મૂકવામાં આવશે. આ બસો થકી ૨૫ પ્રવાસી અને યાત્રાધામ સ્થળોને સાંકળવા ₹૩૬૦ કરોડની જોગવાઇ.
નવીન ડેપો-વર્કશોપ અને બસ સ્ટેશનના આધુનિકીકરણ માટે ₹૨૯૧ કરોડની જોગવાઇ.
સુરત ખાતે બની રહેલ મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ પ્રોજેકટ માટે કુલ ₹૧૮૫ કરોડની જોગવાઇ.
મુસાફરોની સલામતીને સુનિશ્ચિત કરવા એક્સપ્રેસ બસોમાં સંભવિત આકસ્મિક ઘટના પહેલા ડ્રાઇવરોને રીયલ ટાઇમ ઓડીયો-વિઝયુઅલ એલર્ટ આપવા પ્રથમ તબક્કામાં Advanced Driver Assistance System & Driver Monitoring System માટે ₹૧૩ કરોડની જોગવાઇ.
નિગમ ખાતે ડ્રાઈવર – કંડકટર – મિકેનિક તથા ક્લાર્કની કક્ષામાં કુલ મળી ૧૧ હજારથી વધુ ઉમેદવારોની ભરતી પ્રગતિમાં છે.
બંદરો પ્રભાગ ગુજરાતના બંદરોની હાલની વાર્ષિક ક્ષમતા આશરે ૫૯૮ મિલિયન મેટ્રિક ટન છે. તેને ૨૦૪૭ સુધીમાં ૨૦૦૦ મિલિયન મેટ્રિક ટનથી વધુ કરવાનું આયોજન છે.
નવલખી અને મગદલ્લા બંદરોના વિકાસ માટે ₹૨૫૦ કરોડની જોગવાઇ.
રાજ્યમાં પોર્ટ સિટીનો વિકાસ કરવાનું પણ આયોજન છે. આ માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ.
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ₹૨૫૩૫ કરોડની જોગવાઇ
ભારત સરકાર દ્વારા ભારતનેટ ફેઝ-૩ માટે ગુજરાત પસંદ કરાયેલું પ્રથમ રાજ્ય છે. આ યોજના અંતર્ગત ૧૪ હજારથી વધુ ગ્રામ પંચાયતોને સુદ્રઢ કનેક્ટિવિટી દ્વારા વિવિધ સેવાઓનો સીધો લાભ મળી રહ્યો છે
સમગ્ર રાજ્યમાં ભૂકંપની પ્રારંભિક ચેતવણી પ્રણાલીના વિકાસ માટે ₹૧૦ કરોડની જોગવાઇ.
સાયન્સ સીટી ખાતે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી, હ્યુમન એન્ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરી, એવિએશન એન્ડ ડિફેન્સ ગેલેરી, સાયન્સ એક્સપ્લોરેશન ઝોન, ડિજિટલ ફ્યુચર ગેલેરી જેવા વિવિધ આકર્ષણોના નિર્માણ કાર્ય પ્રગતિમાં છે.
ધોલેરા(SIR) અને સાણંદ ખાતે માળખાકીય સુવિધા પૂરી પાડવાનું આયોજન.
ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા બાયોટેકનોલોજી આધારિત ઉકેલ શોધવા માટે ફ્લેગશિપ કાર્યક્રમ માટે ₹૩ કરોડની જોગવાઇ.
ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ₹૧૧૭૦૬ કરોડની જોગવાઇ
પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે ₹૨૭૪૮ કરોડની જોગવાઇ.
પ્રવાસન ક્ષેત્રે ‘ગુજરાત ટૂરિઝમ પોલિસી’, ‘હેરિટેજ ટૂરિઝમ પોલિસી’ તેમજ ‘ગુજરાત હોમસ્ટે પોલિસી’ જેવી અનેક નવી પહેલને લીધે ગુજરાતે ઉત્તમ યજમાન તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઊભી કરેલ છે.
જીલ્લા સ્તરે પ્રવાસનને વેગ આપવા રાજ્યના તમામ જીલ્લાઓમાં જીલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની સ્થાપના કરવામાં આવનાર છે.
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ વિવિધ ધાર્મિક કામોના વિકાસ માટે ₹ર૧૫ કરોડની જોગવાઇ.
ઉડ્ડયન ક્ષેત્રે દાહોદ ખાતે નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટ વિકસાવવા તેમજ પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરા ખાતેનાં હયાત એરપોર્ટનાં વિસ્તરણ માટે ₹૨૧૦ કરોડની જોગવાઇ.
સુરત ઇકોનોમિક રીજીયન ખાતે હોટેલ અને બીચ રિસોર્ટ, પારસી સર્કીટ, ક્રુઝ ટુરિઝમ, બીચ હોટેલ્સ, થીમ પાર્ક, ઇકો-ટુરિઝમ એક્ટીવિટી માટે ₹૫૦ કરોડની જોગવાઇ.
નાના શહેરો/આંતરીક વિસ્તારોને મોટા શહેરો અને મહત્વના વિસ્તારો સાથે હવાઇ માર્ગે જોડવાના ધ્યેય સાથે Viability Gap Funding યોજના હેઠળ ₹૪૫ કરોડની જોગવાઇ.
ભારત સરકારના “ઉડે દેશ કા આમ નાગરીક”(ઉડાન)ના વિઝન અંતર્ગત Regional Connectivity Schemeના માધ્યમથી એર કનેક્ટિવિટી પૂરી પાડવા માટે ₹૩૦ કરોડની જોગવાઇ.
પ્રવાસન સ્થળોએ વિવિધ નવી સર્કિટ તથા વે સાઇડ પ્રાથમિક સુવિધાઓ વિકસાવવા ₹૧૫ કરોડની જોગવાઇ.
ઉદ્યોગ અને ખાણ માટે ₹૮૯૫૮ કરોડની જોગવાઇ.
ગુજરાતે નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની સાથોસાથ રોકાણકારોને આકર્ષિત કરવા MSME, મેન્યુફેકચરીંગ અને સ્ટાર્ટઅપ માટે નવી નીતિઓ અમલમાં મૂકી છે. જેને કારણે આજે ધમધમતુ અર્થતંત્ર એ ગુજરાતની ઓળખ બની ગયેલ છે. ખાસ આર્થિક ઝોન અને નાણાકીય હબ દ્વારા વૈશ્વિક રોકાણને આકર્ષવા, ઇન્ડ્રસ્ટીયલ પાર્ક, ક્લસ્ટર ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રકચર સુધારણા તેમજ રોજગારી અને સ્કીલ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રમાં સરકાર સતત આગળ વધી રહી છે.
અંકલેશ્વર, સરીગામ, વાપી અને સુરત ખાતેના ચાલુ તેમજ અમદાવાદ, જંબુસર અને સાયખા ખાતેના નવા ડીપ-સી પ્રોજેક્ટ માટે ₹૭૮૫ કરોડની જોગવાઇ.
ભરૂચના જંબુસર ખાતે બલ્ક ડ્રગ પાર્ક વિકસાવવા માટે ₹૨૯૦ કરોડ તેમજ ૪૨ કી.મી. લાંબી પાઈપલાઈન થકી રો વોટર સપ્લાય માટે ₹૨૨૫ કરોડ એમ કુલ ₹૫૧૫ કરોડની જોગવાઇ.
પી.એમ.મિત્ર પાર્ક હેઠળ ભારત સરકાર સાથે નવસારી ખાતે PPPના ધોરણે આસિસ્ટન્ટ્સ ફોર રો વોટર સપ્લાય પાઇપલાઇન પ્રોજેક્ટ માટે ₹૩૦૦ કરોડની જોગવાઇ.
ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયન ખાતે ઇન્ટીગ્રેટેડ રેસીડેન્સીયલ ટાઉનશીપ તેમજ સામાજીક માળખાગત સુવિધાઓ જેવી કે; હોસ્પિટલ, સ્કૂલ, ફાયર સ્ટેશન માટે અંદાજિત ₹૨૦૦ કરોડની જોગવાઇ.
ગુજરાત ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીકસ અને લોજીસ્ટીક ફેસીલીટીઝને સહાય યોજના-૨૦૨૧ અંતર્ગત ₹૨૫ કરોડની જોગવાઇ.
કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ માટે ₹૮૯૦ કરોડની જોગવાઇ.
કુટિર, ગ્રામોદ્યોગ, હાથશાળ-હસ્તકલા અને ખાદી ક્ષેત્ર સાથે સંકળાયેલા કારીગરો માટે સ્વરોજગારીની તેમજ આજીવિકાની તકો ઊભી કરી તેમની આવક અને જીવનધોરણમાં સતત સુધારો કરી વોકલ ફોર લોકલને આગળ ધપાવવા રાજ્ય સરકાર સક્રીય રીતે કામ કરી રહી છે.
હસ્તકલા અને હાથશાળની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતી સહકારી મંડળીઓને પેકેજ યોજના અંતર્ગત ₹૭૬ કરોડની જોગવાઇ.
ખાદી ઉત્પાદન સાથે સંકળાયેલ કારીગરો તેમજ સંસ્થાઓને ખાદી ઉત્પાદન પર સહાય માટે ₹૫૧ કરોડની જોગવાઇ.
માનવ કલ્યાણ યોજના અન્વયે ઇ-વાઉચર મારફત લાભાર્થીઓને ટુલકીટ સ્થાનિક કક્ષાએ મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવા ₹૨૫ કરોડની જોગવાઇ.
ઇકોફ્રેન્ડલી માટીની મૂર્તિઓને પ્રોત્સાહન આપવા માટીકામ સાથે સંકળાયેલ તથા અન્ય રોજગારલક્ષી તાલીમો માટે ₹૧૩ કરોડની જોગવાઇ.
દેશભરના હાથશાળ અને હસ્તકલાના કારીગરોને કાયમી ધોરણે માર્કેટીંગ માટેનો મંચ પૂરો પાડવા વડોદરા અને ડીસા ખાતે અર્બન હાટ સ્થાપવાનું આયોજન.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹૨૨૪૯૮ કરોડની જોગવાઇ
પાક કૃષિ વ્યવસ્થા
કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના અવિરત વિકાસ થકી ગુજરાતે સમગ્ર દેશમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. રાજ્યનો અન્નદાતા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ થકી સદ્ધર બન્યો છે.
Farmer Registry પ્રોજેકટ હેઠળ ૩૪ લાખથી વધુ ખેડૂતોના ફાર્મર આઇડી જનરેશન પૂર્ણ કરીને ગુજરાતે દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ખેડૂતોને વીજ સહાય માટે ₹૧૦૬૧૩ કરોડની જોગવાઇ.
કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત મહત્તમ ખેડૂતોને આવરી લેવા ટ્રેક્ટર ખરીદી સહાય માટે ₹૮૦૦ કરોડની જોગવાઇ.
કૃષિ યાંત્રિકીકરણની મીની ટ્રેક્ટર આધારિત યોજના હેઠળ રાજ્યના તમામ આદિજાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ફાર્મ મિકેનાઇઝેશન સહાય વધારવા માટે ₹૧૨૨ કરોડની જોગવાઇ.
કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ₹૫૯૦ કરોડની જોગવાઇ.
કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને સીડ રિપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવાની યોજના માટે ₹૮૨ કરોડની જોગવાઇ.
નેનો ખાતરના વપરાશને પ્રોત્સાહન આપવાની યોજના માટે ₹૭૩ કરોડની જોગવાઇ.
ખરીફ અને રવિ ઋતુમાં પાક પરિસ્થિતિ માટે ડિજિટલ ક્રોપ સર્વેની નવી યોજના અંતર્ગત ₹૪૦ કરોડની જોગવાઇ.
આદિજાતિ વિસ્તારના ૫૩ તાલુકાઓમાં ખેડૂતોને કૃષિ યુનિવર્સિટીઓના સહયોગથી ખેતરની મુલાકાત લઇ પાકનું સ્વાસ્થ્ય જાળવવા અને ઉત્પાદકતા વધારવા ખેડૂત સુવિધા રથ માટે ₹૧૯ કરોડની જોગવાઇ.
જમીનમાં ઓર્ગેનિક કાર્બનનો વધારો થાય તે હેતુસર ફર્મેન્ટેડ ઓર્ગેનીક મેન્યોર અને લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનીક મેન્યોરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ₹૧૦ કરોડની જોગવાઇ.
૧૩ એગ્રી એક્સપોર્ટ ઝોનનો પ્રી-ફિઝીબિલિટી રીપોર્ટ તૈયાર કરવાનું આયોજન.
કચ્છ, અમદાવાદ, જુનાગઢ, વડોદરા, હાલોલ ખાતે પાંચ મેગા ફૂડ પાર્કનું નિર્માણ કરવાનું આયોજન.
બાગાયત બાગાયત ખાતાની યોજનાઓ માટે વાર્ષિક વિકાસ કાર્યક્રમ હેઠળ ₹૬૦૫ કરોડની જોગવાઇ.
બાગાયતી પાકોના મૂલ્યવર્ધન માટે ગ્રામ્ય/જૂથ કક્ષાના કલેકશન એકમ તથા સોલાર કોલ્ડ રૂમ એકમો ઊભા કરવા ₹૩૦ કરોડની જોગવાઇ.
વનબંધુ માટે કોલ્ડસ્ટોરેજ ક્ષમતા વધારવા ₹૫ કરોડની જોગવાઇ.
કૃષિ શિક્ષણ રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ કૃષિ સંશોધન અને શિક્ષણની પ્રવૃત્તિઓને સઘન બનાવવા જામનગર ખાતે નવીન કૃષિ કોલેજ તથા થરાદ ખાતે કૃષિ ઇજનેરી કોલેજની સ્થાપના કરવામાં આવશે. કૃષિ યુનિવર્સિટીઓની માળખાકીય વ્યવસ્થા, વહીવટ અને સંશોધનના ખાસ કાર્યક્રમો માટે કુલ ₹૧૦૦૦ કરોડની જોગવાઇ.
પ્રાકૃતિક કૃષિ પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃતિઓ માટે ₹૩૧૬ કરોડની જોગવાઇ.
નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ માટે ₹૯૦ કરોડની જોગવાઇ.
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ગૌ આધારિત બાયો ઈનપુટ યોજના હેઠળ ₹૧૦ કરોડની જોગવાઇ.
પશુપાલન સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ જેવી કે, દુધાળા પશુઓના ફાર્મની સ્થાપના, બકરા એકમની સ્થાપના, મરઘાપાલન, પશુઓ માટે કેટલ શેડ અને ખાણદાણ માટેની સહાયનો મહત્તમ લાભ પશુપાલકો મેળવે છે.
મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત કુલ ₹૪૭૫ કરોડની જોગવાઇ.
ગૌચરના રક્ષણ માટે ફેન્સીંગ તથા તેમાં ઘાસચારાનું વાવેતર થઇ શકે તે માટે ડ્રીપ ઇરીગેશન વ્યવસ્થા કરવામાં આવશે. વધુમાં ગૌશાળાઓને માળખાકીય સુવિધાઓ જેવી કે પાણી, વીજળી વગેરેથી સુસજ્જ કરવા માટે આયોજન કરવામાં આવશે.
રાજ્યની ૨૦૮૯ સરકારી પશુ સારવાર સંસ્થાઓ ખાતેથી વિનામૂલ્યે પશુ સારવાર પૂરી પાડવા મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના હેઠળ ₹૪૫ કરોડની જોગવાઇ.
રાજ્યમાં પશુ આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા નવા ૨૫૦ સ્થાયી પશુ દવાખાના અને નવા ૧૫૦ ફરતા પશુ દવાખાના શરૂ કરવા માટે કુલ ₹૩૪ કરોડની જોગવાઇ.
ગીર ગાયના આનુવાંશિક ઓલાદ સુધારણા, સંવર્ધન અને સંરક્ષણ માટે પોરબંદરના ધરમપુર ખાતે અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવા ₹૨૩ કરોડની જોગવાઇ.
રાજ્યમાં પશુઓમાં વ્યંધત્વની સારવાર માટેના ૧૮ હજારથી વધુ કેમ્પનું આયોજન કરવા કુલ ₹૧૩ કરોડની જોગવાઇ.
પશુના જન્મ બાદ બે વર્ષ સુધી પાડી-વાછરડીનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરવા પશુપાલકોને સહાયરૂપ થવા કુલ ₹૧૨ કરોડની જોગવાઇ.
મત્સ્ય ઉદ્યોગ રાજ્યના નોટીફાઈડ ૧૦૪ મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ખાતે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે ₹૩૬૦ કરોડની જોગવાઇ.
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માટે ₹૩૫૩ કરોડની જોગવાઇ.
ડીઝલ સબસીડી ચૂકવવા માટે ₹૩૫૦ કરોડની જોગવાઇ.
દરીયાઈ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે વિવિધ સાધન ખરીદી ઉપર સહાય તેમજ અન્ય બાબત માટે ₹૧૪૪ કરોડની જોગવાઇ.
આંતરદેશીય મત્સ્યોદ્યોગ માટે ₹૬૨ કરોડની જોગવાઇ.
એક્વા કલ્ચર ક્ષેત્રે આગામી ત્રણથી પાંચ વર્ષમાં ઝીંગા ઉત્પાદન બમણુ કરવા વિશેષ પેકેજ માટે ₹૫૦ કરોડની જોગવાઇ.
દરિયાઈ માછલીના ઉત્પાદનોની સ્વચ્છ પરિસ્થિતિમાં જાળવણી માટે બ્લાસ્ટ ફ્રીઝર કોલ્ડ રૂમ માટે ₹૫૦ કરોડની જોગવાઇ.
આદિજાતિ વિસ્તારમાં મત્સ્ય ખેડૂતોને કેજ કલ્ચરના ઈનપુટ ઓપરેશનલ ખર્ચ માટે ₹૩૨ કરોડની જોગવાઇ.
ભાંભરા પાણીમાં કેજ કલ્ચર માટે ₹૩૦ કરોડની જોગવાઇ.
ફીશરીઝ બાયપ્રોડક્ટ પ્રોસેસીંગ યુનિટ માટે ₹૨૫ કરોડની જોગવાઇ.
સહકાર કેન્દ્રિય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા ₹૩ લાખથી વધારી ₹૫ લાખ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા ૪% વ્યાજ રાહત આપવા માટે ₹૧૨૫૨ કરોડની જોગવાઇ.
સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ ₹૧૯૯૯ કરોડની જોગવાઇ
“સેવા સેતુ” અંતર્ગત વિવિધ શહેરો અને ગામોમાં યોજાયેલ કાર્યક્રમોમાં નાગરિકોની ૩ કરોડ ૭ લાખથી વધારે અરજીઓનો તત્કાલ સ્થળ ઉપર નિકાલ થયેલ છે.
વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, એ.ટી.વી.ટી અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે ₹૧૩૧૧ કરોડની જોગવાઇ.
એસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ અંતર્ગત ૧૦ જિલ્લાના ૧૩ તાલુકાઓમાં શિશુ મૃત્યુ દર, માતા મૃત્યુ દર, કુપોષણ અને એનિમિયા ઘટાડવા માટે પ્રતિ વર્ષ તાલુકાવાર ₹૧ કરોડ એમ કુલ ₹૧૩ કરોડની જોગવાઇ.
મહેસૂલ વિભાગ માટે કુલ ₹૫૪૨૭ કરોડની જોગવાઇ
મહેસૂલી સેવાઓ નાગરિકોને સરળતાથી અને ત્વરિત મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂત દ્વારા તેની એકમાત્ર બચત રહેતી ખેતીની જમીન પણ જો બિનખેતી કરાવે તો પણ ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે તેવો પ્રજાલક્ષી નિર્ણય કરવામાં આવેલ છે.
રાજ્યમાં સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં ૭૨૨૧ ગામોના ૧૨ લાખથી વધુ મિલકતોના પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરી સમગ્ર દેશમાં ફેઝ-૨ માં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે.
સાબરકાંઠાના હિંમતનગર ખાતે નવી કલેક્ટર કચેરી અને વેરાવળ, પોરબંદર, દ્વારકા, ભચાઉ, વઢવાણ, બાયડ, આંકલાવ, સોજીત્રા, નડિયાદ, લુણાવાડા, જલાલપોર, સાગબારા અને ઉમરપાડા ખાતે નવા મહેસૂલી ભવનોના બાંધકામ, અંજાર-કચ્છ અને ઊંઝા-મહેસાણા ખાતે સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટની નવી કચેરીઓના બાંધકામ અને અમદાવાદ શહેર, સાણંદ, દેત્રોજ, રાધનપુર, રાજકોટ શહેર, લોધિકા, મોરબી, અંકલેશ્વર અને ઉમરગામ ખાતે નવી સબ-રજીસ્ટ્રાર કચેરીઓના બાંધકામ માટે ₹૬૬ કરોડની જોગવાઇ.
ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગથી મહેસૂલી સેવાઓના વિવિધ પોર્ટલના અપગ્રેડેશન અને આઇ.ટી. સાધન-સામગ્રીની ખરીદી માટે ₹૮૭ કરોડની જોગવાઇ.
નાગરિકોને મહેસૂલી સેવાઓ ઝડપી પૂરી પાડવા વિવિધ કચેરીઓ માટે ૨૩૦ નવી જગ્યાઓ ઊભી કરવા ₹૧૫ કરોડની જોગવાઇ.
રાજ્ય આપત્તિ શમન નિધિમાંથી ઇમરજન્સી રિસ્પોન્સ માટે પૂર નિયંત્રણ અને ફાયરને લગતા સાધનોની ખરીદી સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ₹૪૨૯ કરોડની જોગવાઇ.
ગૃહ વિભાગ માટે કુલ ₹૧૨૬૫૯ કરોડની જોગવાઇ
રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાના સંચાલન માટે ઝીરો ટોલરન્સ પોલિસી સાથે અમારી સરકાર અનેક સુધારાઓ કરી રહી છે.
રાજ્યમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સાયબર ક્રાઈમ, સાયબર સિક્યુરિટી અને સાયબર ઈન્ટેલિજન્સની વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન છે. જે માટે ૧૧૮૬ નવી જગ્યાઓ તથા આઈ.ટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹૨૯૯ કરોડની જોગવાઇ.
રાજ્યની વિશિષ્ટ પોલીસ ટૂકડીઓ જેમકે BDDS (Bomb Detection and Disposal Squad) ટીમો, QRT(Quick Response Team) ટીમો, SDRF (State Disaster Response Force)કંપનીઓ તેમજ ચેતક કમાન્ડો માટે સાધન સામગ્રીની ખરીદી માટે ₹૬૩ કરોડની જોગવાઇ.
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે “એક ભારત, શ્રેષ્ઠ ભારત” વિઝનની ઉજવણી માટે ₹૧૦ કરોડની જોગવાઇ.
રાજ્યના તમામ બાકી રહેતા ૨૪ જિલ્લાઓ ખાતે સાયબર ફોરેન્સિક યુનિટ શરૂ કરવા માટે ₹૩૦ કરોડની જોગવાઇ.
એન્ટી નાર્કોટિકસ ટાસ્ક ફોર્સ(ANTF) માટે ₹૨૩ કરોડની જોગવાઇ.
રાજ્યની તમામ જેલો તથા તાલુકા સબ જેલો ખાતે સેન્ટ્રલાઇઝ કમાન્ડ એન્ડ કંટ્રોલ સીસ્ટમ માટે ₹૪૪ કરોડની જોગવાઇ.
રાજ્યમાં શહેરી વિસ્તારોમાં માર્ગ સલામતી માટે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા ૧૩૯૦ નવી જગ્યાઓ ઊભી કરવા માટે ₹૬૩ કરોડની જોગવાઇ.
રાજ્યમાં પોલીસ ખાતાના રહેણાંક તેમજ બિન રહેણાંક મકાનોના બાંધકામ માટે ₹૯૮૨ કરોડની જોગવાઇ.
વિવિધ જેલોના તેમજ અન્ય મકાનોના બાંધકામ માટે ₹૨૧૭ કરોડની જોગવાઇ.
વલસાડ જિલ્લાના વાપી શહેર ખાતે ટ્રાફિક પોલીસ સ્ટેશન ઊભું કરવામાં આવશે.
કાયદા વિભાગ માટે કુલ ₹૨૬૫૪ કરોડની જોગવાઇ
દરેક વ્યકિતને સુગમતાથી અને સમયસર ન્યાય મળી રહે તેવા હેતુથી ન્યાયતંત્રની વ્યવસ્થામાં વિસ્તાર કરી તેને સુદ્રઢ કરવામાં આવશે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયતંત્રને સજ્જ બનાવવા રાજ્ય સરકાર કાર્યરત છે.
વિવિધ સ્તરે કોર્ટ બિલ્ડિંગના બાંધકામ તથા મરામત માટે ₹૩૦૮ કરોડની જોગવાઇ.
ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેણાંકના મકાનો માટે ₹૧૬૫ કરોડની જોગવાઇ.
હાઇકોર્ટના ઇ-કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની અદાલતોમાં તમામ સ્તરે કમ્પ્યુટરાઇઝેશન અને ડિઝિટાઇઝેશન માટે ₹૨૮ કરોડની જોગવાઇ.
માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ ₹૩૬૨ કરોડની જોગવાઇ
માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી મળી રહે તે ઉદ્દેશ સાથે “મારી યોજના” પોર્ટલનું સુશાસન દિવસ-૨૦૨૪ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં રાજ્ય સરકારની પ્રજાલક્ષી ૬૮૦ જેટલી યોજનાઓની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
સરકારની વિવિધ યોજનાઓની માહિતી, તમામ જિલ્લા કલેક્ટર કચેરીઓ, ડી.ડી.ઓ કચેરીઓ તથા મહાનગરપાલિકા કચેરીઓ ખાતે ‘ડિજિટલ ડિસ્પ્લે કમ એક્ઝિબિશન’થી મૂકવા ₹૨૨ કરોડની જોગવાઇ.
સરકારની વિવિધ યોજનાઓની માહિતી છેવાડાના વ્યકિત સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચાડવા દરેક જિલ્લામાં સોશિયલ મીડિયા સેલ ઊભું કરવાનું આયોજન.
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹૬૭૫૧ કરોડની જોગવાઇ
રિન્યુએબલ ઊર્જામાં નવીનતા, સમાવેશીતા અને ટકાઉપણાને પ્રોત્સાહન આપીને ઊર્જાની જરૂરિયાતોમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે. પી.એમ. સૂર્યઘર યોજનાના અમલીકરણમાં ગુજરાત ૪૦%ના યોગદાન સાથે સમગ્ર દેશમાં અગ્રેસર છે.
ગ્લોબલ RE ઇન્વેસ્ટ સમિટ-૨૦૨૪માં રાજ્યને રિન્યુએબલ પાવર ક્ષમતા પ્રાપ્ત કરવાની મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવા બદલ અલગ અલગ કેટેગરીમાં હાઇએસ્ટ અચિવર સ્ટેટ તરીકેનો પુરસ્કાર મળેલ છે. જે સાબિત કરે છે કે ગુજરાતે પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે.
ખેડૂતોને દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ₹૨૧૭૫ કરોડની જોગવાઇ.
આદિજાતિ તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે ₹૯૮૭ કરોડની જોગવાઇ.
સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના હેઠળ નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે ₹૧૩૨ કરોડ અને નવા સબ સ્ટેશનો સ્થાપવા માટે ₹૨૫૦ કરોડની જોગવાઇ.
રાજ્યમાં ઈલેક્ટ્રિક વ્હિકલ(EV) ચાર્જીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના વિકાસ માટે ₹૫૦ કરોડની જોગવાઇ.
રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ અંતર્ગત વીજ વિતરણ વ્યવસ્થાના સુદ્રઢીકરણ માટે માળખાકીય સુવિધાઓના અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે ₹૯૩૬ કરોડની જોગવાઇ.
આદિજાતિ વિસ્તારોમાં નવા સબ-સ્ટેશનો સ્થાપવા માટે ₹૧૬૦ કરોડની જોગવાઇ.
મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરી સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડવા વનબંધુ કલ્યાણ યોજના-૨ હેઠળ ₹૨૪૫ કરોડની જોગવાઇ.
પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સ્ટેન્ડ અલોન-ઓફ ગ્રીડ સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ પૂરા પાડવા માટે ₹૧૦૩ કરોડની જોગવાઇ.
દરિયાકાંઠાના વિસ્તારોમાં આપત્તિ પ્રતિરોધક વીજ માળખું ઊભું કરવા ₹૧૦૦ કરોડની જોગવાઇ.
હયાત ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કમાં રૂપાંતર કરવા માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ.
ગુજરાતમાં એનર્જી સ્ટોરેજ અને પંપ સ્ટોરેજ પ્રોજેક્ટ માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ.
રસ્તાઓના વિસ્તૃતિકરણ અથવા રસ્તાઓ પર અડચણરૂપ હયાત ટ્રાન્સમિશન લાઇન અને સંલગ્ન વીજ માળખાનું શિફટીંગ/રિપ્લેસમેન્ટ કરવા માટે ₹૯૫ કરોડની જોગવાઇ.
વીજળીની સલામતી અંગે જાગૃતિ ફેલાવવા, ગ્રીન એનર્જી ડેટા સેન્ટરના વિકાસ, એનર્જી ટ્રાન્ઝિશન અને ગ્રીન જોબ્સ માટે ક્ષમતા વિકાસ, પાયલટ પ્રોજેક્ટ, શક્યતા અધ્યયન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે ₹૨૬ કરોડની જોગવાઇ.
ગુજરાતમાં ગ્રીન ફીડર્સ પાયલટ પ્રોજેક્ટ માટે, ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ સ્થાપવા અર્થે અનુકૂળ સ્થળો માટે પ્રાથમિક પરીક્ષણ હાથ ધરવા, રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન માટે કોમન ટ્રાન્સમિશન કોરીડોર તથા બાયો-ફ્યુઅલ ઉદ્યોગના વિકાસ માટે ₹૪ કરોડની જોગવાઇ.
વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹૩૧૪૦ કરોડની કુલ જોગવાઇ
રાજ્ય સરકાર “પર્યાવરણને અનુકૂળ ભવિષ્ય, પર્યાવરણને અનુકૂળ અર્થતંત્ર” માટે વન અને વન્યજીવના સંરક્ષણ સાથે નેટ ઝીરોનો લક્ષ્યાંક હાંસલ કરવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે કટીબદ્ધ છે.
વન વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં વધારો કરવામાં આપણું રાજ્ય દેશમાં મોખરે છે. રાજ્યમાં વન કવચ હેઠળ મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણમાં ખૂબ જ સારી સફળતા મળેલ છે.
ગુજરાત રાજ્યની અસ્મિતા એવા એશિયાઇ સિંહના સંવર્ધન માટે એક સમગ્ર અને સંકલિત કાર્યયોજના અમલમાં મૂકવામાં આવેલ છે.
વનોના વિકાસ, સંરક્ષણ અને સંવર્ધનની કામગીરી માટે ₹૬૫૫ કરોડની જોગવાઇ.
વન વિસ્તારની બહારના વિસ્તારોમાં સામાજિક વનીકરણને વેગવંતુ બનાવવા માટે ₹૫૬૩ કરોડની જોગવાઇ.
વન્યપ્રાણીની વ્યવસ્થા અને વિકાસ માટે ₹૪૧૬ કરોડની જોગવાઇ.
વળતર વનીકરણ તેમજ અન્ય વન વિકાસલક્ષી કામગીરીઓ માટે ₹૩૭૨ કરોડની જોગવાઇ.
વનોની ગીચતા વધારવા ટકાઉ વન વ્યવસ્થાપન માટે JICA પ્રોજેકટ હેઠળ ₹૨૨૫ કરોડની જોગવાઇ.
હરિત વન પથ યોજના તેમજ મોટા રોપાઓ દ્વારા વૃક્ષારોપણ માટે ₹૯૦ કરોડની જોગવાઇ.
શહેરી વિસ્તારને સુશોભિત કરી હરિયાળુ બનાવવા વન કવચ મોડલ દ્વારા વાવેતર કરવા ₹૫૦ કરોડની જોગવાઇ.
એક જ પ્લેટફોર્મ પરથી વન વિભાગની પ્રવૃતિઓથી માહિતગાર થવા, ITના માધ્યમથી રેલ્વે ટ્રેક પર થતા સિંહના અકસ્માત નિવારવા તથા દક્ષિણ ગુજરાતમાં થતા વન્યપ્રાણી-માનવ વચ્ચે ઘર્ષણ ઘટાડવા કમાન્ડ એન્ડ કંટ્રોલ યુનિટની સ્થાપના કરવામાં આવશે. જે માટે ₹૪૦ કરોડની જોગવાઇ.
સામાજિક વનીકરણ ક્ષેત્રે ખાતાની નર્સરીઓમાં મોટા રોપા તૈયાર કરવા માટે ₹૩૮ કરોડની જોગવાઇ.
રાજ્યના દરિયાકાંઠાને ગ્રીન વોલ થકી સુરક્ષિત કરવાના હેતુથી શરુ કરાયેલ ‘મિષ્ટી કાર્યક્રમ’(મેન્ગ્રોવ વાવેતર)ના અમલીકરણમાં ગુજરાત પ્રથમ ક્રમે રહેલ છે. જે માટે ₹૧૦ કરોડની જોગવાઇ.
ઇકો સેન્સિટીવ ઝોનમાં આવેલ ગામોમાં ઇકો ડેવલપમેન્ટની કામગીરી માટે ₹૯ કરોડની જોગવાઇ.
પડાલા બેટ, કોરીક્રીક વિસ્તારને ટુરિઝમ પ્લેસ તરીકે વિકસાવવા તેમજ બેટ દ્વારકા ડેવલપમેન્ટ માટે આયોજન.
કચ્છ વિસ્તારના ચાડવા રખાલ ખાતે હેણોતરો(Caracal) કેપ્ટિવ બ્રિડીંગ સેન્ટર અને ડીસા ખાતે નવીન પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે આયોજન.
ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ ₹૪૧૯ કરોડની જોગવાઇ
ગુજરાત રીન્યુએબલ એનર્જી તથા નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટકાઉ અને આબોહવા પ્રતિરોધક રાજ્ય બનવાની સાથે સાથે વર્ષ ૨૦૪૭માં ઝીરો કાર્બનની દિશામાં લક્ષ્યાંક સિદ્ધ કરવા આગળ વધી રહ્યું છે.
રાજ્યની સરકારી કચેરીઓની છત પર સોલર રૂફટોપ સિસ્ટમ સુવિધા માટે ₹૨૫૫ કરોડની જોગવાઇ.
ગ્રીન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા અને રાજ્યમાં કલાઇમેટ ચેન્જ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત કલાઇમેટ ચેન્જ ફંડની સ્થાપના માટે ₹૨૫ કરોડની જોગવાઇ.
ગૌશાળાઓ, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રસ્ટ વગેરે ૭૦ જેટલી સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે ₹૧૨ કરોડની જોગવાઇ.
ટ્રાયબલ વિભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળાઓ તથા સરકારી છાત્રાલયોમાં સોલાર વોટર હિટીંગ સિસ્ટમ બેસાડવા માટે આયોજન.
રાજ્યના નાગરિકોમાં મિશન લાઇફ પ્રવૃત્તિની જાગરૂકતા વધારવા માટે ₹૩૩ કરોડની જોગવાઇ.
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ” મંત્રને કેન્દ્રમાં રાખીને માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં નાગરિકોના “સમૃદ્ધ જીવન અને સમૃદ્ધ આવક” (Living Well & Earning Well) સાથે ગુજરાત વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને પરિપૂર્ણ કરવા વિકસિત ગુજરાત ૨૦૪૭ના રોડ મેપ પર આગળ વધી રહ્યું છે.
આ પણ વાંચો : MEGA MEDICAL CAMP : ભોજાય સર્વોદય ટ્રસ્ટમાં ૩૪માં નવનીત મેગા મેડીકલ કેમ્પનો પૂર્ણાહુતી સમારંભ
INDIAN SOCIOLOGIST