માંડવીની જૈનનૂતન પ્રાથમિક શાળામાં આઠવર્ષની શિક્ષણ સાધના સંપન્ન કરનારા આઠમા ધોરણના વિદ્યાર્થીઓને વિદાયમાન આપવા વિદાય-સન્માન સમારોહ યોજાયો
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં શહીદી વહોરનારા દિવંગતોને શ્રદ્ધાંજલિ પણ અપાઈ
જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈનનૂતન પ્રાથમિક શાળા નંબર - ૩ માં આઠ વર્ષની શિક્ષણ સાધના સંપન્ન કરનારા આઠમા ધોરણમાં અભ્યાસ કરતા ૩૪ કુમાર અને ૧૬ કન્યા મળી કુલ ૫૦ (પચાસ) વિદ્યાર્થીઓને વિદાયમાન આપવા તાજેતરમાં વિદાય-સન્માન સમારોહ યોજાયો હતો.
શાળાના પૂર્વઆચાર્ય અને શાળાની વ્યવસ્થાપન સમિતિ (S.M.C.) ના શિક્ષણવિદ દિનેશભાઈ શાહના પ્રમુખ સ્થાને યોજાયેલા સમારોહના પ્રારંભે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હિચકારા કૃત્ય અને વખોડી કાઢી, શહીદી વહોરનારા દિવંગતોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.
સ્વાગત પ્રવચનમાં શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી એ સૌને આવકારી, વિદ્યાર્થીઓને વચ્ચેથી અભ્યાસ ન છોડવાનો અનુરોધ કરી, ઉચ્ચ અભ્યાસ કરી, સારી ડિગ્રી મેળવવા શુભેચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે પ્રસંગ પરિચયમાં શાળાના શિક્ષિકા અને વર્ગશિક્ષિકા ભાવિનીબેન વાસાણી એ જણાવ્યું હતું કે, આ શાળાના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરીને તમામ ક્ષેત્રે આગળ વધીને શાળા અને માંડવીનું ગૌરવ વધારેલ છે.
આઠમા ધોરણના વિદ્યાર્થીઓએ હાલમાં પડી રહેલ કાળઝાળ ગરમીને અનુલક્ષીને શાળાને સ્ટેન્ડિંગ પંખા ની ભેટ આપી હતી.
આઠમા ધોરણના વિદ્યાર્થીઓ સર્વશ્રી શમીમ ભંમરા, જુનેદ મેમણ અને અર્શ બકાલીએ શાળાના સંસ્મરણોને વાગોળી, વધુમાં જણાવ્યું હતું કે, આ શાળાના ગુરુજનો એ માત્ર શિક્ષણ જ નહીં પરંતુ અમારામાં સંસ્કારોનું સિંચન કરેલ છે
પ્રમુખ સ્થાનેથી રાજ્ય/રાષ્ટ્રીય અને સમાજરત્ન એવોર્ડ વિજેતા, શિક્ષણવિદ દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે, "શિક્ષણ એ તમામ સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ શાળાના વિદ્યાર્થીઓના વાલીઓનો સહકાર, સ્ટાફ ની યુનિટી તેમજ પોતાના સંતાનની જેમ જ શિક્ષણ બાળકોને શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન કરે છે તેથી જ આ શાળાના વિદ્યાર્થીઓ આજે સારા હોદ્દા ઉપર બિરાજમાન છે. દિનેશભાઈ શાહે છ કોટી જૈન સંઘના ગચ્છાધિપતિ અને સાધના સમ્રાટ પ.પૂ. ભાવચંદ્રજી મ.સાહેબે વ્યાખ્યાન માળામાં જણાવેલ ત્રણ વાંદરાની વાર્તા મુજબ, બુરામત સુનો, બુરામત દેખો અને બુરામત બોલો ઉપરાંત ચોથો મુદ્દો બુરામત સોચો નો જીવનમાં અમલ કરશો તો હંમેશા સુખી થાશો
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાત સરકારના શ્રેષ્ઠ શિક્ષકનો રાજ્ય એવોર્ડ મેળવનાર શાળાના શિક્ષિકા શ્રીમતી ભારતીબેન ગોરે કરેલ હતું જ્યારે શાળાના ઉપ આચાર્ય મનુભા જાડેજા એ આભાર દર્શન કરેલ હતું.
શાળાના વિજ્ઞાન શિક્ષક દર્શનભાઈ, સ્ટાફના દીપાબેન, વર્ષાબેન, વૈશાલીબેન, દિગ્વિજયાબેન, પ્રફુલાબેન અને સાનિયાબેને કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
આ પણ વાંચો : ડાંગ જિલ્લાના કલેક્ટર તરીકે સુશ્રી શાલિની દુહાને ચાર્જ સંભાળ્યો.