યુવા જીવદયા પ્રેમીની 21મી પુણ્યતિથિ નિમિત્તે, 25 મી એપ્રિલ થી અનેરો માસિક સેવાયજ્ઞ યોજાશે.
રૂપિયા પાંચ લાખના ખર્ચે 21 ગાડી લીલા ચારા ના નીરણ સાથે અન્ય જીવદયા- માનવ સેવાના કાર્યો કરાશે.
મંત્રાધિરાજ નવકાર મહામંત્રના 1.5 લાખ જાપ સાથે ભાવાંજલિ અપાશે.
CHETANKUMAR : છેલ્લા 15 વર્ષથી સ્વ. ચેતન મહેતાની સ્મૃતિમાં વિવિધ સેવા ક્ષેત્રે સતત કાર્યરત, જૈન સેવા સંસ્થા," નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર"ના ઉપક્રમે, સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતા ના યુવા જીવદયા પ્રેમી પુત્ર, સ્વ. ચેતનકુમાર ની 21મી પુણ્યતિથિ નિમિત્તે,તેમના પરિવારનો અને સંસ્થા પરિવારના સહયોગ થી રૂપિયા 5,00,000 (પાંચ લાખ ) ના ખર્ચે અનેરો માસિક સેવા યજ્ઞ હાથ ધરાશે. જેમાં હજારો દિન- દુખીયા માનવો અને અબોલ જીવોની સેવા ભક્તિ સાથે સ્વ. ચેતન મહેતા ને ભાવાંજલિ અપાશે.
તા. 25 /4 શુક્રવારથી તા. 25/ 5 રવિવાર સુધી સળંગ 31 દિવસ ચાલનારા અનેરા સેવા યજ્ઞમાં, ભુજ, રાપર, માંડવી, મુન્દ્રા આદિ તાલુકાઓને આવરી લેવાશે. જેમાં 21 ગાડી લીલાચારા નું ગૌવંશને નીરણ, પક્ષીને 1000 કિલો ચણ, શ્વાનો ને દૂધ- રોટલી- લાડુ,બિમાર પશુધનને પૌષ્ટિક આહાર આદિ જીવદયા ના કાર્યો કરાશે.
માનવસેવા ના દોર માં 1000 જેટલા જરૂરત મંદ શ્રમજીવીઓને પૌષ્ટિક આહાર સાથે ફ્રુટ નું વિતરણ કરાશે. તેમના ભૂલકાઓને વસ્ત્રોની સોગાદ અપાશે.વિવિધ સંસ્થાઓમાં 800 જેટલા દિવ્યાંગો,નિરાધારો, પ્રજ્ઞાચક્ષુઓ, મનોરોગીઓ વગેરેને પૌષ્ટિક આહાર સાથે ફ્રુટ નું વિતરણ કરાશે. જરૂરતમંદ સાધર્મિકોની ભક્તિ કરાશે.1000 દર્દીઓને ફ્રુટ, ગ્લુકોન ડી ના પેકેટનું વિતરણ કરાશે.20,000 લિટર છાશનું પાન શ્રમજીવીઓને કરાવાશે.
મંત્રાધિરાજ નવકાર મહામંત્રના 1.5 લાખ મંત્ર જાપ કરાશે. તેમજ સંસ્થાના કાર્યકરો સેવાનો વ્યાપ વધારવાના સંકલ્પ સાથે મૌન પાળી ને સ્વ. ચેતન મહેતા ને ભાવાંજલિ અર્પણ કરશે, એવું પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ મણીલાલ શાહ તથા હિરેનભાઈ દોશી એ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : જન સમર્થન મેળવવા માટે "માંડવી સર્વાંગી વિકાસ પરિષદે" કારોબારી ની બેઠકમાં નિર્ણય લીધો.