આસ્થા, આજ્ઞા અને અહોભાવના પ્રતિકરૂપ જૈન શાસનનો ૨૫૮૧ મો સ્થાપના દિવસ માંડવીમાં શાનદાર રીતે ઉજવાયો
પૂ. ગચ્છાધિપતિ આચાર્ય સાધના સમ્રાટ ગુરૂદેવશ્રી ભાવચંદ્ર સ્વામીની પ્રેરણાથી પૂ. શ્રી વિવેકચંદ્રજી સ્વામી, ગૌતમચંદ્રજી સ્વામી, અરિહંતચંદ્રજી સ્વામીની નિશ્રામાં શ્રી સ્થાનકવાસી છ કોટિ જૈન સંઘ માંડવીના ઉપક્રમે જૈનપુરીમાં પાંચેય ગચ્છના અધિકારીઓ, સમાજસેવકો, કાર્યકરો સાથે ૩૦૦ ભાવિકોની હાજરીમાં ૨૫૮૧મો જિનશાસન સ્થાપનાદિવસ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાયો હતો.
અપાપાપુરી મહાસેનઉદ્યાનમાં આજના દિવસે વૈશાખ સુદ-૧૧ ના ૨૪માં તીર્થંકર પ્રભુશ્રી મહાવીર સ્વામીની દેશના સાંભળી ઈન્દુભુતિ ગૌતમસ્વામી આદિ ૪૪૦૦ બ્રાહ્મણોએ, મહાસતી ચંદનબાળા જેવી સતીજીઓએ જૈનદીક્ષા લીધી હતી અને હજારો–શ્રાવક-શ્રાવિકાઓ પ્રભુને સમર્પિત થયા હોઈ ધર્મતીર્થની સ્થાપના થઈ હતી તેના અનુસંધાનમાં ૪૨ કલાકારો-બાળકો, યુવાનો, યુવતીઓ ધ્વારા તૈયાર કરાયેલ જૈન શાસનની વિરાસત બતાવતો સાંસ્કૃતિ કાર્યક્રમ સંવાદ–નૃત્ય, અભિનય સાથે સુંદર રીતે રજુ કર્યો હતો. જેનું સંચાલન શ્રીમતી પીનાકિનીબેન સંઘવીએ કર્યુ હતું.
શાસન સ્પર્શ વિશેષ આયોજન પ્રથમ વખત જ માંડવીમાં થયું છે એવું સંઘપ્રમુખ શ્રી પુનિતભાઈએ સ્વાગત પ્રવચનમાં કહયું હતું પાંચેય ગચ્છના પ્રમુખો, મુરબ્બીઓની હાજરીમાં છ કોટિ સંઘના યુવા પ્રમુખ પુનિતભાઈ વી. ભાછાએ શાસન ધ્વજ લહેરાવીને વધાવ્યો હતો.
પૂ. શ્રી વિવેકમુનિજીએ તથા શ્રી કોમલજી મ.સા. એ જૈન ધર્મ અને પ્રભુના સત્ય-અહિંસા-અપરિગ્રહના અણુવ્રત સાથે એકતા અને અખંડિતતામાં સૌ સાથે રહે તેવી પ્રેરણા કરી હતી. આ પ્રસંગે પૂ. શ્રી હંસાબાઈ મહાસતીજી, અર્પિતાજી મહાસતીજી, શ્રી રચનાજી મહાસતીજી, શ્રી જિનશ્રીજી મહાસતીજી પધાર્યા હતા.
કાર્યક્રમના અંતે શ્રી પ્રભાવતીબેન વી. શાહ હ. પ્રદિપભાઈ અને શ્રીમતિ જશવંતીબેન વી. ભાછા હ. નીકીબેન પુનિતભાઈ ભાછા તરફથી નવકારશી રાખવામાં આવી હતી. આભારવિધી પુનિતભાઈ શાહે કરી હોવાનું દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
આ પણ વાંચો : માંડવીમાં ભીડભંજન પાર્શ્વનાથ દાદાનો ધ્વજારોહણ કાર્યક્રમ ભક્તિભાવ પૂર્વક રંગેચંગે સંપન્ન થયો