માંડવી ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝે સતત ૧૩માં વર્ષે બુધવારે જીવદયાના પ્રોજેક્ટ શુભારંભ કર્યો
૧૦૦ દિવસ સુધી ૬૦ લાખ રૂપિયા જેટલી માતબર રકમનો લીલોચારો મુંગા પશુઓને નિરણ કરાશે
માંડવી ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં તા.૦૭-૦૫ ને બુધવારના સવારના ૧૦-૧૫ કલાકે, માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશીના પ્રમુખ સ્થાને અને માંડવીના પૂર્વ નગરપતિ રસિકભાઈ દોશીના અતિથિવિશેષ પદે યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં જીવદયાના પ્રોજેક્ટનું ઉદઘાટન માંડવીના મામલતદાર સાહેબ અને તાલુકા મેજિસ્ટ્રેટ શ્રી વિનોદભાઈ ગોકલાણી સાહેબે કર્યું હતું.
મુખ્ય મહેમાન પદેથી માંડવીના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી સાહેબે દિપ પ્રગટાવીને જીવદયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે, બીજાનું દુઃખ દૂર કરવા માંડવી ચેમ્બર ઓફ કોમર્સ હંમેશા અગ્રેસર રહી છે. સતત ૧૩માં વર્ષે માંડવી ચેમ્બર ઓફ કોમર્સ, દાતાશ્રીઓના દાન દ્વારા ૬૦ લાખના ખર્ચે આજે જીવદયાના પ્રોજેક્ટનું મારા હાથે ઉદ્ઘાટન કરાવે છે તે બદલ મારી જાતને ધન્ય ગણું છું. તેમણે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશીને સેવાના ભેખધારીનું બિરુદ આપી, વાડીલાલભાઈ દોશી અને તેમની સમગ્ર ટીમને ધન્યવાદ પાઠવી દાતાશ્રીઓનો આભાર માન્યો હતો. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ ક્રાયક્રમને શુભેચ્છા પાઠવી હતી.
પ્રમુખ સ્થાનેથી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી વાડીલાલભાઈ દોશી એ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી જીવદયાના પ્રોજેક્ટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ૧૦૦ દિવસ સુધી ચાલનારા જીવદયાના આ પ્રોજેક્ટમાં કચ્છની ૩૦ પાંજરાપોળો અને ૮ થી ૧૦ મહાજન વિહોણા ગામોમાં તેમજ નારાયણસરોવર થી આડેસર (તા.રાપર) સુધી મૂંગા પશુઓને રૂપિયા ૬૦ લાખ જેટલી માતબર રકમના લીલચારાનું નિરણ કરવામાં આવશે.તેમણે મૂળ માંડવીના પરંતુ હાલમાં અમેરિકા નિવાસી, વતનપ્રેમી દિલેરીદાતા શ્રીમતી હાર્દિકાબેન પ્રદિપભાઈ શાહને જન્મદિવસની શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે, પ્રદીપભાઈ શાહ અને હાર્દિકાબેન શાહ તરફથી છેલ્લા ૧૨ વર્ષથી, દર વર્ષે ૬ થી ૮ લાખનું દાન જીવદયા માટે આપે છે. માંડવીના પૂર્વ નગરપતિ રસિકભાઈ દોશી જીવદયા માટે માંડવી ચેમ્બરને દર વર્ષે જીવદયા માટે જેટલું દાન આવે છે તે પૈકી ૫૦(પચાસ) ટકા દાન પોતાના દેશ-વિદેશના મિત્રો પાસેથી ચેમ્બરને મેળવી આપે છે. અત્યાર સુધી માંડવી ચેમ્બરે જીવદયા માટે રૂપિયા ૬ કરોડથી વધારે રકમનો સદુપયોગ કરેલ છે.
માંડવીના પૂર્વ નગરપતિ અને ચેમ્બરના કાયમી પ્રેરણાદાતા રસિકભાઈ દોશીએ જણાવ્યું હતું કે, પ્રજાકીય કામોમાં માંડવી ચેમ્બર હંમેશા અગ્રેસર રહી છે, કોઈ પણ પ્રોજેક્ટ શરૂ કરવો સહેલો છે પરંતુ તેને લાંબા સમય સુધી ચાલુ રાખવું કઠિન છે પણ માંડવી ચેમ્બર ઓફ કોમર્સ જીવદયાના પ્રોજેક્ટને લાંબા સમય સુધી ચાલુ રાખીને પ્રેરણાદાયી કાર્ય કરેલ છે. માંડવી ચેમ્બર વગર ડિપોઝિટ અને વગર ભાડે ઓક્સિજનના સિલિન્ડરના બાટલા આપીને માનવસેવાનું ખૂબ જ ઉમદા કાર્ય કરે છે. તેમણે માંડવી ચેમ્બરને જીવદયાના પ્રોજેક્ટ ને હંમેશા સાથ-સહકાર આપવાની ખાતરી ઉચ્ચારી હોવાનું માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રેરિત માંડવી સર્વાંગી વિકાસ પરિષદના મંત્રી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
માંડવી ચેમ્બર ઓફ કોમર્સના ગ્રુપ નેતા અરવિંદભાઈ શાહે પણ મૂળ માંડવીના પરંતુ હાલમાં અમેરિકા નિવાસી તેમજ જીવદયા પ્રોજેક્ટ માટે કાયમી દાતા પ્રદીપભાઈ શાહ અને હાર્દિકાબેન શાહ તેમજ જીવદયા પ્રોજેક્ટના કાયમી પ્રેરણાદાતા માંડવીના પૂર્વ નગરપતિ રસિકભાઈ દોશી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
માંડવી ચેમ્બરના લીલાચારાના પ્રોજેક્ટ ચેરમેન શ્રી નવીનભાઈ બોરીચાએ જણાવ્યું હતું કે, આગામી ૪ મહિનામાં મૂંગા પશુઓને ૩૫૦ ગાડીથી વધારે લીલાચારાનું નિરણ કરવામાં આવશે.
માંડવી ચેમ્બરના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી સાહેબ, પૂર્વ નગરપતિ અને કાયમી પ્રેરણાદાતા રસિકભાઈ દોશી, ચેમ્બરના માનદમંત્રી નરેન્દ્રભાઈ સુરૂ, ખજાનચી ચંદ્રસેનભાઈ કોટક, પ્રોજેક્ટ ચેરમેન નવીનભાઈ બોરીચા, ગ્રુપ નેતા અરવિંદભાઈ શાહ, દાતા પરિવારના બહેન શીલાબેન શાહ તથા દાતાના પ્રતિનિધિ મધુભાઈ શેઠ મંચસ્થ રહ્યા હતા.
આ પ્રસંગે બિદડા પાંજરાપોળના ટ્રસ્ટીઓએ ગાયમાતા વાળો મોમેન્ટ એનાયત કરીને માંડવી ચેમ્બરના પ્રમુખ વાડીલાલભાઈ દોશી અને ચેમ્બરની ટીમનું અભિવાદન કરેલ હતું.
આ પ્રસંગે માંડવીના મામલતદાર વિનોદભાઈ ગોકલાણીને કચ્છી પાઘડી પહેરાવી, સાલ ઓઢાડીને ચેમ્બરના પ્રમુખ વાડીલાલભાઈ દોશી અને ખજાનચી ચંદ્રસેનભાઈ કોટકના હસ્તે અભિવાદન કરાયું હતું. પૂર્વ નગરપતિ રસિકભાઈ દોશીને કચ્છી પાઘડી પહેરાવી, સાલ ઓઢાડીને ચેમ્બરના માનદ મંત્રી નરેન્દ્રભાઈ સુરૂ અને પ્રોજેક્ટ ચેરમેન નવીનભાઈ બોરીચાના હસ્તે સન્માન થયું હતું. દાતાના બહેન શીલાબેન શાહનું સન્માન ગ્રુપ નેતા અરવિંદભાઈ શાહના હસ્તે તેમજ દાતાના પ્રતિનિધિ મધુભાઈ શેઠને કચ્છી પાઘડી પહેરાવી, સાલ ઓઢાડીને ચેમ્બરના સભ્યોના હાથે સન્માન કરાયું હતું.
ચેમ્બરના ટ્રસ્ટીઓ જેન્તીભાઈ શાહ, નરેશભાઈ સોની, ડાયાભાઈ ભીમાણી, મહેશભાઈ લાકડાવાળા, જૈમીનભાઈ દોશી અને રાજેશભાઈ દોશી વગેરે ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં સહયોગી રહ્યા હતા.
જીવદયાના પ્રોજેક્ટના ઉદ્ઘાટન સમારોહમાં માંડવીના પૂર્વ નગરપતિ અરવિંદભાઈ ગોહિલ, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા અને મંત્રી દિનેશભાઈ શાહ, અગ્રણી સંજયભાઈ ડગાળાવાળા અને મહેશભાઈ ચાવાળા સહિત માંડવીના જીવદયા પ્રેમીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ચેમ્બરની વિવિધ ક્ષેત્રની સેવાની સરાહના કરી હતી.
આ પ્રસંગે નાના કરોડીયા, મોટા કરોડીયા, કોકલીયા, ગુંદીયાળી, બિદડા પાંજરાપોળના ટ્રસ્ટીઓ, હાલાપર, શિરવા, રેલડીયા મંજલ (અબડાસા) અને વડાલા (મુન્દ્રા)ના પાંચ પાંચ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને, ચેમ્બરના પ્રમુખ વાડીલાલભાઈ અને તેમની ટીમનો શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેમ્બરના સભ્ય અને જૈન જાગૃતિ સેન્ટર-માંડવી (J.J.C.)ના પ્રમુખ રાજેશભાઈ વાડીલાલ દોશી એ કરેલ હતું જ્યારે ચેમ્બરના માનદ મંત્રી નરેન્દ્રભાઈ સુરૂએ આભાર વિધિ કરેલ હોવાનું માંડવી સર્વાંગી વિકાસ પરિષદના મંત્રી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણીલાલ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : માંડવીમાં ભીડભંજન પાર્શ્વનાથ દાદાનો ધ્વજારોહણ કાર્યક્રમ ભક્તિભાવ પૂર્વક રંગેચંગે સંપન્ન થયો