માંડવી સેવામંડળમાં સેવા આપતા દાંતના ડો. રાજવીબેન મામતોરાને ભવ્યાતિભવ્ય વિદાયમાન અપાયું
માંડવીના સેવામંડળના દાંતના ડો. રાજવીબેન મામતોરા (ખત્રી) ને વિદાય પ્રસંગે સંસ્થાના પ્રમુખ અશોકભાઈ શાહ અને ટ્રસ્ટીમંડળ સન્માનપત્ર એનાયત કરતા નજરે પડે છે.
૯ વર્ષની સંતોષકારક સેવાને સેવામંડળના ટ્રસ્ટીમંડળે બિરદાવ્યું બંદરીય માંડવી શહેરના ભીડબજારમાં આવેલા મંછારામ બાપુના વાડામાં, જીવદયા અને માનવસેવાના છેલ્લા ૫૮ (અઠાવન) વર્ષથી સતત કાર્યરત સંસ્થા સેવામંડળમાં છેલ્લા ૯ વર્ષથી સંતોષકારક સેવા આપતા દાંતના ડો. રાજવીબેન મામતોરા (ખત્રી) ને તાજેતરમાં સેવામંડળમાં ભવ્યાતિભવ્ય વિદાયમાન આપવા વિદાય-સન્માન સમારોહ યોજાયો હતો.
સમારોહના પ્રમુખસ્થાનેથી સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહે સૌને આવકારી, ડો. રાજવીબેન મામતોરાની સેવામંડળમાં આપેલી ૯ વર્ષની સેવાને બિરદાવી હતી.
સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ મણીલાલ શાહે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ડો. રાજવીબેન મામતોરાની સેવાની સરાહના કરી, માંડવીના કેટલાય લોકોની દાંતની સારવાર સંતોષકારક રીતે કરી છે તેથી તેઓ લોકપ્રિય બન્યા છે.
ડો. રાજવીબેન મામતોરા (ખત્રી) ને અર્પણ કરાયેલા સન્માનપત્રનું વાંચન સેવામંડળના ટ્રસ્ટી જયેશભાઈ જી. શાહે કર્યું હતું.
સેવામંડળના ટ્રસ્ટીમંડળના હસ્તે ડો. રાજવીબેનને મોમેન્ટો એનાયત કરી, સન્માન અર્પણ કરી ડો. રાજવીબેનનું અભિવાદન કરેલ હતું.
આ પ્રસંગે સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહ, ટ્રસ્ટીમંડળના સર્વશ્રી ભગવતીપ્રસાદ મોથારાઈ, ચંદ્રશેનભાઈ શાહ, જયેશભાઈ જી. શાહ, ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ શાહે ઉપસ્થિત રહીને ડો. રાજવીબેનની સેવાની સરાહના કરી હતી.
આ પ્રસંગે ડો. રાજવીબેનના પતિ શ્વેતકુમાર ખત્રી અને સેવામંડળનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
સન્માનના પ્રત્યુતરમાં ડો. રાજવીબેન મામતોરા (ખત્રી) એ સન્માન બદલ સેવામંડળનો આભાર માની, ૯ વર્ષ દરમ્યાન સેવામંડળના ટ્રસ્ટીમંડળે આપેલા સહકાર બદલ આભારની લાગણી વ્યક્ત કરી, સહકારની ખાત્રી આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેવામંડળના ટ્રસ્ટી દિનેશભાઈ શાહે કરેલ હતું જ્યારે પ્રમુખ અશોકભાઈ શાહે આભારદર્શન કરેલ હતું.