World No Tobacco Day : માંડવીમાં જનકલ્યાણ મેડિકલ સોસાયટી અને પરમ પૂજ્ય નરેશમુનિ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાનના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ "વિશ્વ તમાકુ નિષેધ દિન ઉત્સાહભેર ઉજવાયો
કાર્યક્રમને દીપ પ્રગટાવીને ખુલ્લો મુકતા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, જન કલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવી અને વ્યસન મુક્તિ અભિયાનના મંત્રી દિનેશભાઈ શાહ, આઈ.ટી.આઈ ના ફોર્મેન દેવાંગભાઈ વાંઝા વગેરે નજરે પડે છે.
આઈ.ટી.આઈ.ના ૨૫૦થી વધારે વિદ્યાર્થીઓના મુખની ઓરલ તપાસ અને દાંતની તપાસ કરાઈ
માંડવીમાં છેલ્લા ૩૩ વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટી અને છેલ્લા ૨૫ વર્ષથી કાર્યરત પરમ પૂજ્ય નરેશ મુનિ "આનંદ" મહારાજ સાહેબ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનના સંયુક્ત ઉપક્રમો ૩૧મી મે ને શનિવારના રોજ માંડવીની ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈ.ટી.આઈ.માં વિશ્વ તમાકુ નિષેધ દિન ઉત્સાહ ભેર ઉજવાયો હતો.
માંડવીના લોકલાડીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે એ મુખ્ય મહેમાન પદેથી દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે તમાકુ, ગુટકા વગેરે વ્યસનોથી શારીરિક અને માનસિક નુકસાન થાય છે. તેમણે વિદ્યાર્થીઓને વ્યસનમુક્ત બનવા અનુરોધ કરી, વિશ્વ તમાકુ નિષેધ દિન ની દર વર્ષે ઉજવણી કરવા બદલ બંને સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પરમ પૂજ્ય નરેશમુની "આનંદ" અને તેમના શિષ્ય ઓજસમુની "મંગલ" મહારાજ સાહેબ તરફથી ચાલતી વ્યસન મુક્તિની પ્રવૃત્તિને બિરદાવી હતી.
પ્રમુખ સ્થાનેથી જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે ૯૦ ટકા લોકોને તમાકુથી કેન્સર થાય છે. સંસ્થા દ્વારા ૩૩ વર્ષથી વ્યસન મુક્તિની પ્રવૃત્તિ ચાલતી હોવાનું તેમણે જણાવ્યું હતું.
સ્વાગત પ્રવચનમાં પરમ પૂજ્ય નરેશમુનિ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાનના મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ મણીલાલ શાહે સૌને આવકારી,નરેશમુનિ ઓજસમુનિ દ્વારા ૨૫વર્ષથી ચાલતી વ્યસનમુક્તિની પ્રવૃત્તિની વિગતે માહિતી આપી, છેલ્લા 14 વર્ષના ભારત ભર ના પરિભ્રમણથી અનેક લોકો ને જૈન સંતો એ વ્યસન મુક્ત કર્યા છે. બંને સંતોના જૂન માસ ના અંત મા ભોજાય તાલુકો માંડવીમાં ચાતુર્માસ પ્રવેશ થવાનો છે. તેમ જણાવી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે,ચાતુર્માસ દરમિયાન ભોજાય ગામે ધાર્મિક અનુસ્ઠાનો ની સાથે વ્યસનમુક્તિની પ્રવૃતિઓ પણ થશે.
આ પ્રસંગે માંડવી ના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે અને આઈટીઆઈ ના ઇન્ચાર્જ આચાર્ય (ફોરમેન) શ્રી દેવાંગભાઈ વાંઝા નું બંને સંસ્થા તરફથી સાલ ઓઢાડીને પરમ પૂજ્ય નરેશ મુનિ મારાજ સાહેબ લેખિત અને વ્યસન મુક્તિ અભિયાન ના પ્રમુખ ડૉ. દિનેશ ભાઇ જોશી સંપાદિત માનવ જીવનની મીઠાશ પુસ્તક અર્પણ કરીને અભિવાદન કરાયું હતું.
આ પ્રસંગે ITI માં અભ્યાસ કરતા 250 થી વધારે વિદ્યાર્થીઓના મોઢાની ઓરલ તપાસ અને દાંતની તપાસ જન કલ્યાણ મેડિકલ સોસાયટીના ડોક્ટર સૌરભ પટેલ (એમ.ડી. મેડિસિન), મેડિકલ ઓફિસર જયેશભાઈ મકવાણા અને દાંતના ડોક્ટર દિગના બેન પટેલે નિદાન કરીને યોગ્ય માર્ગદર્શન આપેલ હતું.
"હમ સબ કા હૈ યહી સપના- નશા મુકત હો દેશ અપના" વિષય પર યોજાયેલી નિબંધ સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબરે વિજેતા થનાર અનુક્રમે મોતા સૃષ્ટિ નીતિનભાઈ (મસ્કા), મહેશ્વરી કિશન જગદીશભાઈ (મોટા કાંડાગરા) અને મહેશ્વરી ક્રિષ્ના વાલજીભાઈ (મોટાભાડિયા) ને બંને સંસ્થા તરફથી માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે મોમેન્ટો અને સન્માન પત્ર એનાયત કરી સન્માન કરાયું હતું. નિબંધ સ્પર્ધામાં 124 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વિષયને અનુરૂપ નિબંધ લખનાર વિદ્યાર્થીઓને પણ સન્માન પત્ર અપાયા હતા.
રાજ્ય / રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવૉર્ડ વિજેતા દિનેશભાઈ શાહે વ્યસન મુક્ત બનવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.
ડોક્ટર સૌરભભાઈ પટેલ અને ડોક્ટર જયેશભાઈ મકવાણા એ વ્યસનો થી થતા નુકસાન ની વિગતે સમજણ આપી હતી.
આઈ.ટી.આઈ તરફ થી માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે,બંને સંસ્થાના ટ્રસ્ટીઓ અને ડોક્ટરોની ટીમ નું સન્માન કરાયું હતું.
પરમ પૂજ્ય નરેશ મુનિ અને ઓજસ મુનિ મહારાજ સાહેબ તેમજ વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ ડોક્ટર દિનેશભાઈ જોશી અને ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહે કાર્યક્રમ ને શુભેચ્છા પાઠવી હતી.
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન જન કલ્યાણ મેડિકલ સોસાયટીના સહમંત્રી મહેશભાઈ કંસારાએ કરેલું હતું. જ્યારે મંત્રી અરવિંદભાઈ શાહે આભાર દર્શન કરેલ હતું.
જન કલ્યાણ મેડિકલ સોસાયટીના ખજાનચી નિશાંત ભાઇ શાહ, ટ્રસ્ટી નરોતમભાઈ ધોળું, માનદ સભ્ય ડોક્ટર આદિત્ય ચંદારાણા તેમજ હોસ્પિટલ ના સ્ટાફે ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માંડવીની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ના પ્રિન્સિપાલ પ્રતિકભાઈ પરસાણીયા, ફોરમેન દેવાંગભાઈ વાંઝા તથા તેમનો સ્ટાફ તેમજ ટ્રસ્ટીઓ એ જહેમત ઉઠાવી હતી.